
- કાર્યક્રમ સ્થળે 550 થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ કૃષિ સાથે સંલગ્ન વિવિધ પ્રદર્શન સ્ટોલ ઊભા કરાયા
- પ્રગતિશિલ ખેડૂતમિત્રોએ પોતાના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી
રાજપીપળા, 14 માર્ચ (હિ.સ.) : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દત્તવાડા ગામે કૃષિ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તથા મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ્સ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 550 થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ સ્થળે કૃષિ સાથે સંલગ્ન વિવિધ પ્રદર્શન સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો તથા પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને સફળતા પ્રાપ્ત કરનાર ખેડૂત શંકર વેચિયાભાઈ વસાવા અને વંદના પંકજભાઈ પાડવીએ પોતાના ખેતીના અનુભવો રજૂ કરીને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી હતી. કૃષિ મેળામાં પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિ સાથે સંકળાયેલા વિવિધ પ્રદર્શન સ્ટોલ દ્વારા ખેડૂતોને નવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ મદદનીશ ખેતી નિયામક દ્વારા મિલેટ્સ પાકો તથા ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમમાં સાગબારા તાલુકા પ્રમુખ ચંપાબેન વસાવા, તાલુકા પંચાયત સભ્ય વર્ષા વસાવા, દત્તવાડા ગામના સરપંચ ભારતીબેન વસાવા સહિત તાલુકાના આગેવાન ખેડૂતોએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ