
- આ વિયરનું નિર્માણ થવાથી આજુબાજુની અંદાજે ૨૯ હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે
ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) : રાજ્યમાં સિંચાઇ વિસ્તારમાં વધારો થાય અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે તેવા હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જળ સંચયના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર 349 કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં છે.
આ વિયરનું નિર્માણ થવાથી આજુબાજુની અંદાજે 29 હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.
જળ સંપત્તિ મંત્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, આ વિયરની લંબાઈ 67 મીટર અને ઉંચાઈ 11 મીટરની રહેશે. વિયર તૈયાર થવાથી તેના પાછળના ભાગે 14 કિલોમીટર સુધી પાણી ભરાવાથી વડોદરા,ખેડા અને આણંદ જિલ્લામાં જળસ્તર ઉંચા આવશે અને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ