
વલસાડ, 16 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આંઘોળી પ્રાથમિક શાળા ખાતે ‘આનંદ મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને વ્યાપારી કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આનંદ મેળામાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે વિવિધ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં ખાણી-પીણીની વિવિધ વાનગીઓ હતી. આ પ્રસંગે શાળાના તમામ બાળકો, શિક્ષકો તેમજ S.M.C (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના સભ્યો તેમજ સી.આર.સી. કો ઓર્ડીનેટર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારિક જ્ઞાન આપવાનો હતો. બાળકોએ જાતે સ્ટોલ સંભાળીને નાણાકીય વ્યવહાર (હિસાબ-કિતાબ) કરતા શીખ્યા હતા. ટીમ વર્ક અને વ્યવસાયિક સૂઝબૂઝની સાથે ગ્રાહકો સાથે સંવાદ કરવાની કળા જેવા જીવન ઉપયોગી પાઠ ખૂબ જ ઉત્સાહપૂર્વક શીખ્યા હતા.
શાળાના સમગ્ર શૈક્ષણિક પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સુંદર અને સુવ્યવસ્થિત આયોજનની વાલીઓએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સમગ્ર શાળા સંકુલ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે