

પાટણ, 17 માર્ચ (હિ.સ.)
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો અને તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે અને પોલીસે 3 શખ્સ તેમજ એક ગાડીને ડિટેઈન કર્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ મંદિરના ફાળાના મુદ્દે થયેલા મનદુઃખને કારણે આ સમગ્ર ઘટના બની હોવાનું માનવામાં આવે છે. ફરિયાદી રોનકકુમાર દિનુભાઈ દેસાઈ, જે પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
15 માર્ચ 2026ની રાત્રે લગભગ 11:45 વાગ્યે ફરિયાદીને ફોન દ્વારા ફાર્મ હાઉસ પર હુમલો થવાની માહિતી મળી હતી. હુમલાખોરોએ ગેટ પાસે આવી ગાળો આપી ધમકીઓ આપી અને પથ્થરમારો તેમજ હથિયારો વડે તોડફોડ કરી હતી.
CCTV ફૂટેજમાં 8 જેટલી ગાડીઓમાં આવેલા 15 થી 20 ઈસમો ધારીયા, તલવાર અને લાકડીઓ સાથે હુમલો કરતા જોવા મળ્યા હતા.
આ હુમલામાં ગેટ, દીવાલ અને ગંગામાનો ફોટો તોડી નાખવામાં આવ્યો હતો તેમજ ભાવેશભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન ત્રણ આરોપીઓની ઓળખ કરી તેમને ડિટેઈન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે રાયોટિંગ, હથિયારબંધીના ભંગ અને ફરજમાં રૂકાવટ જેવી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ