




પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના પાગાબાપાના આશ્રમની પાછળના ભાગે વી.વી. બજાર તરીકે જાણીતા વિસ્તારમાં ગેરકાયદે કબ્જો જમાવી ઘણા લોકો વસવાટ કરી રહ્યા છે. પોરબંદર પીજીવીસીએલની 4870 સ્કવેર ચો.મીટર એટલે અંદાજિત 3 વિઘાથી વધુ જગ્યા આવેલી જે પૈકી કોર્ટના હુકમથી આજે કે મિલ્કતનો કબ્જો મેળવ્યો છે.
પોરબંદર શહેરના વીવી બજાર વિસ્તારમાં બપોરના સમયે પીજીવીસીએલના અધિકારીઓ પોલીસપ્રોટેક્શન સાથે મિલ્કતનો કબ્જો લેવા દોડયા હતા. આ સામે કેટલીક મહિલાઓએ પીજીવીસીએલની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્રણ જેટલી મહિલાઓ બેભાન થતા 108 મારફત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ પોરબંદર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર સી.સી. ડામોરે મીડિયાને આપેલી માહિતી મુજબ પાગાબાપાના આશ્રમના પાછળના ભાગે 4870 સ્કવેર ચો.મીટર પીજીવીસીએલની જગ્યા છે. વર્ષ 1998 થી આ મામલે કોર્ટ કેસ ચાલતો હતો.
બિનઅધિકૃત માણસોએ આ વિસ્તારમાં કબ્જો કરેલો છે. ફેબ્રુઆરી 2026 માં કોર્ટના હુકમ આવ્યો છે. આ જગ્યાનો કબ્જો ભાવેશ સોલંકી નામના વ્યક્તિ પાસે હતો. હાલ એક મિલકતનો કબ્જો લેવા કોર્ટનો હુકમ છે. તેથી પોલીસ પ્રોટેક્શન સાથે આજે તા. 17 માર્ચના રોજ એક મિલ્કતનો કબ્જો મેળવવામાં આવ્યો છે. આ વિસ્તારમાંબિનઅધિકૃત અન્ય લોકોએ કબ્જો જમાવ્યો છે જેથી ભવિષ્યમાં કોર્ટ રાહે બિનઅધિકૃત કબ્જો ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા આ જગ્યાના ઉપયોગ માટે ભવિષ્યમાં વિચારણા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya