
જામનગર, 17 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની આકરી ઉઘરાણી શરૂ કરી છે અને આખરી નોટિસો આપ્યા બાદ મિલકતો સીલ કરવા ઉપરાંત જામનગર શહેરમાં સૌપ્રથમ વખત સામુહિક રીતે મિલકતો વેરો નહીં ભરનાર સાત સોસાયટીઓના 3737 પીવાના પાણીના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે. પ્રથમ વખત મ્યુ.તંત્રની પાણી પુરવઠો બંધ કરવામાં આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામ્યો છે.
જામનગર શહેરમાં લાંબા સમયથી મિલકતવેરો નહીં ભરનાર સામે કડક ઉઘરાણી કરવા માટે 1796 આસામીઓને આખરી નોટિસો આપવામાં આવી હતી. પાણી પુરવઠો બંધ કરવા માટે પણ તાકીદ કરવામાં આવ્યા હતા. તેમ છતાં અમુક આસામીઓએ વેરો નહીં ભરતા તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે પાણી પુરવઠો પણ બંધ કરવા માટે તાકીદ કરાયા હતા. તેની પણ સમયમર્યાદા પુર્ણ થવા છતાં વેરો ભરવામાં આવ્યો ન હતો. જેથી સોમવારે જામ્યુકો મિલકતવેરા શાખા તેમજ પાણી પુરવઠાની સંયુક્ત ટીમો દ્વારા વેરો નહી ભરનારા આસામીઓના સામુહિક પાણી પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં વોર્ડનં-15ના રમેશ હાર્ડવેર વાળી શેરી, મારૂતિનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, રવિપાર્ક ઝોન હેઠળનાં વોર્ડનં-6ના રવિપાર્ક ટાઉનશીપ, જય દ્વારકાધીશ પાર્ક, યોગેશ્વરધામ, વાયુનગર, શિવ ટાઉનશિપ, તિરૂપતિ પાર્ક-2, સ્વામીનારાયણ ધામ વિસ્તારના મિલકત અને પાણી વેરાની મોટી રકમ વસૂલાત માટે બાકી હોય, જેની રીકવરી નાં ભાગરૂપે આજે જામ્યુકો તંત્રએ સૌપ્રથમ વખત શહેરમાં પાણી વિતરણના વાલ્વને સીલ કરીને પાણી પુરવઠો બંધ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જામનગર શહેરમાં સૌપ્રથમ વખત 3737 જેટલા આસામીઓને પીવાનું પાણી બંધ કરવામાં આવતા શહેરમાં મિલકતવેરો ન ભરનારાઓમાં ચકચાર વ્યાપી ગઈ છે. તો અમુક બાકીદારોએ મિલકતવેરો ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મિલકતવેરા શાખાએ વધુ 3 મિલ્કતો સીલ કરીજામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ આકરી રીતે મિલકતવેરો વસુલવા માટે કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ પાણી પુરવઠો બંધ કરવામાં આવે છે તો બીજી બાજુ રાજકોટ હાઈવે પર બાકી વેરો રૂ.2,73,080માં પુષ્પાબેન વિસરોલીયા તેમજ રૂ.2,96,580ના બાકીમાં કમલેશભાઈ અને રૂ.1,35,161 મિલકતવેરો ન ભરનાર મહેશભાઈ ભાણજીભાઈ ચનીયારાની મિલકતો સીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt