
પાટણ, 20 માર્ચ (હિ.સ.)20 માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાટણ શહેરમાં વિવિધ સામાજિક અને પર્યાવરણલક્ષી સંસ્થાઓ દ્વારા ચકલી સંરક્ષણ માટે વિશેષ કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમો અંતર્ગત 5,000થી વધુ પક્ષીઘર અને પાણીના કુંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું. ચકલીઓની ઘટતી સંખ્યાને બચાવવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ હતો.
આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રકૃતિ મંડળ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મિશન ગ્રીન દ્વારા યશ પ્લાઝા ખાતે 2,000 ચકલીઘર અને 2,000 પાણીના કુંડાનું વિતરણ કરાયું. તેમજ અબોલ જીવ સેવાયજ્ઞ સેવાલય અને ઓમ શિવ સેવા ટ્રસ્ટ દ્વારા 1,100 માટીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી ઉનાળામાં પક્ષીઓને આશ્રય મળી રહે.
મોતીભા ફાઉન્ડેશન દ્વારા યશ હોમ્સ ખાતે 1,000 પાણીના કુંડા, 1,000 માટીના કુંડા અને 2,500 લાકડાના માળા વિતરણ સાથે રજીસ્ટ્રેશન સેવા પણ શરૂ કરવામાં આવી. સંસ્થાની ટીમ લોકોના ઘરે જઈ માળા લગાવશે. પાટણની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ચકલી બચાવો અભિયાનને સફળ બનાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ