

મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગરના વિજયભાઈ દરજી પરંપરાગત પદ્ધતિથી શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક મસાલા બનાવી સફળ વ્યવસાય ઉભો કર્યો છે. તેઓ ગાંધીનગર જીઆઇડીસીમાં મસાલાની બનાવટ કરે છે અને કાચો માલ મધ્યપ્રદેશથી લાવી પોતાના યુનિટમાં જ દળાવીને તૈયાર ઉત્પાદનો બજારમાં મૂકે છે. તેમની ખાસ ઓળખ “ખાંડેલું મરચું” છે, જે સંપૂર્ણપણે કેમિકલ મુક્ત હોય છે.
વિજયભાઈના મસાલામાં કોઈપણ પ્રકારના કેમિકલ કે કૃત્રિમ રંગનો ઉપયોગ થતો નથી. તેઓ કુદરતી રંગ માટે કાશ્મીરી મરચું ભેળવે છે, જેના કારણે મરચું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ રહે છે. બજારમાં મળતા ઘણા મસાલામાં કેમિકલ અને અશુદ્ધિઓ જોવા મળે છે, જ્યારે તેમના ઉત્પાદનો વિશ્વસનીય ગણાય છે.
આ વ્યવસાયમાં તેમની પત્નીનો સહયોગ મહત્વનો છે અને તેમના યુનિટમાં આશરે 40 મહિલાઓને રોજગાર મળ્યો છે. તેઓ ખાંડેલું મરચું આશરે 350 રૂપિયા પ્રતિ કિલો વેચે છે અને હિંગ, હળદર, ગરમ મસાલા સહિતના અન્ય ઉત્પાદનો પણ બનાવે છે.
સ્ટોલ અને મેળાઓમાં તેઓ સારો વેપાર કરે છે. વડનગરમાં 10 દિવસમાં અંદાજે 40,000 રૂપિયાનું વેચાણ નોંધાયું હતું. તેમની આ પહેલ સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને રોજગારીનું ઉત્તમ ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR