

પાટણ, 21 માર્ચ (હિ.સ.) : વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા 5,000થી વધુ પક્ષીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ શનિવારે રેલવે સ્ટેશન રોડ પર ટાવરની પાછળ યોજાયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રુપ ચકલી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે અને આવા સેવાકીય કાર્યો દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે.
આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યએ આ પહેલને સરાહનીય ગણાવી અને કહ્યું કે ગરમીમાં પક્ષીઓ માટે પાણી અને આશ્રય પૂરો પાડવો પ્રેરણાદાયી કાર્ય છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પક્ષી સંરક્ષણ માટે સહયોગ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ