
જામનગર, 21 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જાહેર રજાના દિવસે પણ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રેરક પ્રયાસ કર્યો હતો.
જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા તમામ શાખાઓના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટદાર તરીકે કલેક્ટરે પદભાર સંભાળતાની સાથે જ જનસેવાના કાર્યોમાં રજાના દિવસે પણ સક્રિય રહીને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા અને લોકહિતના કાર્યોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો છે.
આ સમીક્ષા બેઠક દરમિયાન કલેક્ટરે સૂચના આપતા જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાના કારણે પ્રજાના કોઈ પણ કામમાં વિલંબ ન થવો જોઈએ અને આયોજન હેઠળના તમામ વિકાસકાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે. જિલ્લા પંચાયત હસ્તકના જે પ્રજાલક્ષી કામો લાંબા સમયથી પડતર છે, તેનો સત્વરે નિકાલ લાવીને સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે જોવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી.
કલેક્ટરે વધુમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જો કોઈ અગત્યના પ્રોજેક્ટ કે કામગીરીમાં કાયદાકીય કે ટેકનિકલ અડચણ ઉભી થતી હોય, તો વિલંબ કરવાને બદલે તુરંત જ જરૂરી માર્ગદર્શન મેળવી પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી વિકાસની ગતિ અવરોધાય નહીં. કલેક્ટરની આ સક્રિયતાને કારણે જિલ્લા પંચાયતના વહીવટી માળખામાં પણ નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt