






પોરબંદર, 21 માર્ચ (હિ.સ.)વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર શહેરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મિલેટ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારત સરકારે વર્ષ 2018બને ‘નેશનલ મિલેટ યર’ તરીકે જાહેર કર્યું હતું અને ભારતના પ્રયત્નોથી વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે બાજરી, જુવાર, રાગી, મોરૈયો અને કાંગ જેવા મિલેટ્સમાં પ્રોટીન, વિટામિન્સ, ફાઈબર અને વિવિધ મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે તથા ડાયાબિટીસ જેવા રોગોમાં પણ ઉપયોગી સાબિત થાય છે.
વધુમાં તેમણે શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આ બે દિવસીય મહોત્સવની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ મિલેટ્સના પૌષ્ટિક ફાયદાઓ અંગે જાણકારી મેળવી તેને દૈનિક આહારમાં સામેલ કરવા પર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું કે આવા મહોત્સવો લોકોના આરોગ્યમાં સુધારો લાવવામાં અને કુપોષણ સામે લડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. દિલીપ હડિયાએ મિલેટ્સના મહત્વ, તેમના આરોગ્યલાભો અને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
અંતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ વિવિધ ફૂડ સ્ટોલની મુલાકાત લઈને મિલેટ્સમાંથી બનેલી વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.અને આ કાર્યક્રમમાં વાનગી સ્પર્ધાના વિજેતાઓનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, પોરબંદર શહેર મામલતદાર ભરતભાઈ સંચાણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya