ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ, 1500 કન્ટેનર પાછા આવ્યાં
- દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પાછા આવ્યાં - એક્સપોર્ટનું ભાડું 60 હજાર થી વધીને 3 લાખ - મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ મોરબી/અમદાવાદ,21 માર્ચ (હિ.સ.) મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી જંગ હવે આખી દુનિયા માટે ખતરો બની ગઈ છે. મિડલ ઇસ
ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ


ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ


- દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પાછા આવ્યાં

- એક્સપોર્ટનું ભાડું 60 હજાર થી વધીને 3 લાખ

- મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ

મોરબી/અમદાવાદ,21 માર્ચ (હિ.સ.) મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી જંગ હવે આખી દુનિયા માટે ખતરો બની ગઈ છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે તેલના પુરવઠા અને કિંમતો પર અસર પડી રહી છે,

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની સૌથી મોટી અસર ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને થઈ રહી છે. અગાઉ ગેસ ન મળવાના કારણે સિરામિકના 450 કરતા વધુ કારખાના બંધ થઈ ગયા છે અને તેનાથી પણ મોટી અસર સિરામિક કારખાનેદારોને હવે જોવા મળી રહી છે કેમ કે GCCના દેશોની અંદર મોરબીથી મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સ એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે.

જોકે, યુદ્ધના કારણે દુબઈ, ઓમાન, શારજહા, કતાર, કુવેત સહિતના દેશોના પોર્ટ હાલમાં બંધ હોવાથી મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલેલા કન્ટેનરો દરિયામાં ફરીને કે પછી કંડલા અથવા મુંદ્રા પોર્ટ ઉપરથી પાછા આવી રહ્યા છે. હાલમાં અંદાજે 1500 જેટલા કન્ટેનર મોરબીમાં પાછા આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ એક્સપોર્ટનું ભાડું રૂ.60 હજારથી વધીને 3 લાખે પહોંચી ગયું છે.

મોરબીના સીરામિક ઉદ્યોગકારો દ્વારા દર વર્ષે અંદાજે 20,000 કરોડનું એક્સપોર્ટ કરવામાં આવે છે, જેમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ GCCના દેશોમાં કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને દુબઈ, ઓમાન, શારજહા, કતાર, કુવેત વગેરે દેશોનો સમાવેશ થાય છે અને મિડલિસ્ટમાં દર મહિને 15,000 જેટલા કન્ટેનરો અહીંથી ટાઇલ્સ ભરીને મોકલાવવામાં આવતા હોય છે.

હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધના લીધે મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલવામાં આવતા કન્ટેનરો ઉપર બ્રેક લાગી ગઈ છે. આટલું જ નહીં પરંતુ મોરબીના કારખાનાઓમાંથી GCCના દેશોમાં એક્સપોર્ટ કરવા માટે થઈને મોકલવામાં આવેલા કન્ટેનરો પણ દરિયામાં આંટા ફરીને તેમજ પોર્ટ ઉપરથી હવે કારખાને પાછા આવવા લાગ્યા છે. જેથી કારખાનેદારોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે 28 ફેબ્રુઆરીના રોજ દુબઈના પોર્ટ ઉપર યુદ્ધ દરમિયાન ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી દુબઈનું પોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓમાન ખાતે આવેલા સલાલા પોર્ટ, શારજહા ખાતે આવેલ ફૂજેર પોર્ટ, કતાર ખાતે આવેલ દોહા પોર્ટ અને કુવેત ખાતે આવેલ પોર્ટને હાલમાં શિપિંગ લાઈન માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી ત્યાં કન્ટેનરો જઈ શકતા નથી અને લગભગ 10થી 15 દિવસ સુધી શીપમાં કન્ટેનરો રાખીને દરિયામાં આંટા માર્યા પછી પણ કન્ટેનર ગ્રાહકો સુધી પહોચ્યા નથી. પોર્ટ ઉપર જહાજ ન જતા હોવાથી હાલમાં શિપિંગ લાઈન વાળાઓ જુદા જુદા પોર્ટ ઉપર મોરબીના સિરામિક ટાઇલ્સ ભરેલા કન્ટેનરો ઉતારી રહ્યા છે. આટલુ જ નહીં પરંતુ શિપિંગ લાઈન વાળા દ્વારા તોતિંગ ભાડા પણ વસૂલ કરવામાં આવી રહ્યા છે

મોરબીથી સામાન્ય સંજોગોમાં દુબઈ ખાતે કોઈ કારખાનેદાર દ્વારા પોતાનો માલ ભરેલા કન્ટેનરને મોકલાવે તો અંદાજે 3થી 4 લાખ રૂપિયાનો માલ તથા 50થી 60 હજાર રૂપિયાનું ભાડું આમ કુલ 3.5થી 4.5 લાખમાં માલ ગ્રાહક સુધી પહોંચી જતો હોય છે.

જોકે, યુદ્ધ શરૂ થયું ત્યાર પછી મોરબીથી એક કે બે નહીં પરંતુ 1500 જેટલા કન્ટેનર જૂદા જૂદા કારખાનાઓમાંથી ભરીને મોકલવામાં આવ્યા હતા તે હજુ સુધી ગ્રાહકો સુધી પહોંચ્યા નથી અને શિપિંગ લાઇન વાળાઓ દ્વારા હાલમાં કન્ટેનરનું ભાડું 3 લાખ માંગવામાં આવે છે તેમ છતાં પણ તે કન્ટેનર ગ્રાહકો સુધી પહોંચતા નથી. જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સોના કરતાં ઘડામણ મોંઘુ તેવો ઘાટ સર્જાયો છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઇંધણ તરીકે વપરાતા પ્રોપેન અને નેચરલ ગેસની અછત તેમજ ભાવમાં અસ્થિરતાને કારણે બે દિવસ અગાઉ મોરબી સિરામિક એસોસિએશને આગામી 1 મહિના સુધી તમામ કારખાનાઓ બંધ રાખવાનો ઐતિહાસિક સામૂહિક નિર્ણય લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande