
અમદાવાદ,21 માર્ચ (હિ.સ.) રાજ્યમાં બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. ગઇકાલે બપોર બાદ શરૂ થયેલા વરસાદે સૌરાષ્ટ્રના ઉના, ગીર-ગઢડા, તાલાલા, કોડીનાર અને ગીર-સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતો ખાસ કરીને કેસર અને કેરીના બગીચાઓના માલિકો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદ અને તીવ્ર પવનને કારણે બગીચાઓમાં પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે.
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં આ અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતા તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
હવામાન વિભાગે આજે 21 માર્ચ માટે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ ભારે પવન (40-50 કિ.મી./કલાક) ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટવાની અને તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આગામી 7 દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સુધી વધી શકે છે, જેનાથી ઉનાળાની શરૂઆતનો અહેસાસ થશે.
ખેડૂતો અને બગીચા માલિકો ચિંતામાં છે કે આ વરસાદથી કેસર કેરી અને અન્ય ફળ પાકને નુકસાન થઈ શકે છે. ગીર-ગઢડા અને ઉના વિસ્તારમાં ખેડૂતોએ પાકની રક્ષા માટે વધારાના પ્રયાસો શરૂ કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ