



રાજપીપળા/અમદાવાદ,21 માર્ચ (હિ.સ.) પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પાણીનું સંવર્ધન અને સંચાલન આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. આ જ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ (World Water Day) ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વને યાદ અપાવે છે કે, પાણીનો સંયમપૂર્વક ઉપયોગ અને જળસંસાધનોનું સંરક્ષણ માનવજાતના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.
ગુજરાત માટે પાણીનું મહત્વ વિશેષ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વર્ષો સુધી પાણીની તંગી અને દુષ્કાળની સમસ્યા જોવા મળતી હતી. પરંતુ નર્મદા નદી પર નિર્મિત સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતના પાણી સંચાલનના ઇતિહાસમાં એક ક્રાંતિકારી પગલું સાબિત થયો છે. આ પ્રોજેક્ટે રાજ્યના કૃષિ, પીવાના પાણી, ઊર્જા અને પર્યટન જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની નવી દિશા આપી છે.
ગુજરાતની જીવાદોરી : નર્મદા ડેમ
નર્મદા નદી ભારતની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે, જે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી ઉત્પન્ન થઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહેતી અગળ વધી અરબી સમુદ્રમાં મળે છે. આ નદી પર નર્મદા જિલ્લાના (નવાગામ) એકતાનગર ખાતે નિર્મિત સરદાર સરોવર ડેમ દેશના સૌથી મોટા બહુહેતૂક જળસંચય પ્રોજેક્ટોમાંનો એક ગણાય છે.
ડેમની કુલ લંબાઈ લગભગ 1,210 મીટર અને સૌથી ઊંડા પાયા પરથી તેની ઊંચાઈ લગભગ 163 મીટર છે. આ વિશાળ ડેમમાં અંદાજે 4.75 મિલિયન એકર ફૂટ પાણીની સંગ્રહ ક્ષમતા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પાણી સંગ્રહ, સિંચાઈ, પીવાનું પાણી, વીજ ઉત્પાદન, પૂર નિયંત્રણ અને પ્રદેશના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તેથી જ સરદાર સરોવર પ્રોજેક્ટને ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દુષ્કાળપ્રવણ વિસ્તારોમાં ખેતીને મળ્યો નવો આધાર
એક સમયે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં પાણીની ભારે અછત હતી. વરસાદ પર નિર્ભર ખેતીને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન ભોગવવું પડતું હતું. પરંતુ સરદાર સરોવર ડેમના કારણે આ પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. પ્રોજેક્ટ દ્વારા આજે લગભગ 17.92 લાખ હેક્ટર ગુજરાતમાં અને 2.46 લાખ હેક્ટર રાજસ્થાનમાં સિંચાઈ સુવિધાનો લાભ મળશે.
આ સિંચાઈ સુવિધાના કારણે ખેડૂતોએ પરંપરાગત પાકો ઉપરાંત વિવિધ પાકોની ખેતી શરૂ કરી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, જીરૂં, તલ, મગફળી, શાકભાજી અને ફળ પાકોની ખેતીમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો થયો અને ખેડૂતોની આવકમાં પણ બમણી થઈ છે. અંદાજે 13 લાખથી વધુ ખેડૂત પરિવારો આ સિંચાઈ વ્યવસ્થાનો સીધો લાભ લઈ રહ્યા છે, જે ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.
લાખો લોકો માટે પીવાનું પાણી
સરદાર સરોવર નર્મદા ડેમનો સૌથી મહત્વપૂર્ણ લાભ પીવાના પાણીની ઉપલબ્ધતા છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના લગભગ 10453 ગામો અને 190 શહેરોને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનના 1,336 ગામો અને 3 શહેરોને પણ નર્મદાનું પાણી મળે છે. આ યોજનાથી અંદાજે 3 કરોડથી વધુ લોકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ બન્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં જ્યાં પાણી માટે મહિલાઓને દૂર સુધી ચાલવું પડતું હતું ત્યાં હવે પાઇપલાઇન દ્વારા ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. આ કારણે આરોગ્ય અને સ્વચ્છતામાં પણ સુધારો થયો છે અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
વિશ્વસ્તરની નહેર નેટવર્ક વ્યવસ્થા
સરદાર સરોવર પ્રોજેક્ટની સૌથી અનોખી વિશેષતા તેની વિશાળ નહેર વિતરણ પ્રણાલી છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 70 હજાર કિલોમીટરથી વધુ લાંબી નહેરનેટવર્ક બનાવવાની યોજના છે. તેમાં મુખ્ય નહેર, શાખા નહેર, ડિસ્ટ્રિબ્યુટરી અને માઇનર નહેરનો સમાવેશ થાય છે.
નર્મદા મુખ્ય નહેર લગભગ 458 કિલોમીટર લાંબી છે અને વિશ્વની સૌથી મોટી લાઇનિંગવાળી સિંચાઈ નહેરોમાંની એક ગણાય છે. મુખ્ય નહેરમાંથી 38 શાખાનહેર નીકળે છે, જેમાં મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ખાસ મહત્વ ધરાવે છે.
આ સમગ્ર નહેર વ્યવસ્થાથી પાણી રાજ્યના 17 જિલ્લાઓ, 77 તાલુકાઓ અને હજારો ગામો સુધી પહોંચાડવામાં આવે છે, જે જળસંચય અને જળવ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ છે.
વીજ ઉત્પાદન : ગ્રીન એનર્જી તરફનું મહત્વપૂર્ણ પગલું
સરદાર સરોવર ડેમ વીજ ઉત્પાદન માટે પણ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા લગભગ 1450 મેગાવોટ છે. River Bed Power House અને Canal Head Power House દ્વારા અત્યાર સુધીમાં 69,000 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા નહેર પર 18નાના હાઇડ્રોપાવર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની કુલ ક્ષમતા લગભગ 85.46 મેગાવોટ છે.
કેનાલ ટોપ અને કેનાલ બેંક પર 35 મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે પર્યાવરણમિત્ર ઊર્જા ઉત્પાદનનું ઉત્તમ ઉદાહરણ છે.
પર્યાવરણ સંરક્ષણ અને વન વિકાસ
સરદાર સરોવર પ્રોજેક્ટ માત્ર વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ડૂબમાં ગયેલા દરેક એક વૃક્ષ સામે 67 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત નર્મદા બેસિન વિસ્તારમાં મોટા પાયે વનઉછેર કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શૂલપાણેશ્વર અભયારણ્યનો વિસ્તાર વધારીને લગભગ 607 ચોરસ કિલોમીટર સુધી વિસ્તરવામાં આવ્યો છે, જે જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે.
પર્યટન વિકાસ અને રોજગાર સર્જન
સરદાર સરોવર ડેમ વિસ્તાર આજે દેશનું મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર બની ગયું છે. અહીં આવેલું વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. નર્મદા નદી, ડેમ અને આસપાસનું કુદરતી સૌંદર્ય મળીને આ વિસ્તારને આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે. પર્યટન વિકાસના કારણે સ્થાનિક લોકો માટે રોજગારના નવા અવસર પણ ઉભા થયા છે.
વિશ્વ જળ દિવસનો સંદેશો
વિશ્વ જળ દિવસ આપણને યાદ અપાવે છે કે, પાણીનું દરેક ટીપું અમૂલ્ય છે. વધતી વસ્તી અને આબોહવા પરિવર્તનને કારણે પાણીના સંચાલન અને સંવર્ધનનું મહત્વ વધુ વધી રહ્યું છે. સરદાર સરોવર પ્રોજેક્ટ દર્શાવે છે કે જો કુદરતી સંસાધનોનો વૈજ્ઞાનિક અને સંયમપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે સમગ્ર સમાજના વિકાસ માટે આધાર બની શકે છે. પાણી બચાવવું, વરસાદી પાણીનું સંવર્ધન કરવું અને પર્યાવરણનું સંરક્ષણ કરવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.
નર્મદા નદી અને સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના વિકાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ છે. ખેતી, પીવાનું પાણી, વીજ ઉત્પાદન, પર્યટન અને પર્યાવરણ સંરક્ષણ, દરેક ક્ષેત્રમાં આ પ્રોજેક્ટે વિકાસને નવી દિશા આપી છે.
વિશ્વ જળ દિવસના અવસરે આપણે સૌએ પાણીના સંવર્ધન અને સંરક્ષણ માટે સંકલ્પ લેવો જોઈએ. કારણ કે “પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું.” સરદાર સરોવર ડેમ આ સંદેશાનું જીવંત પ્રતિક બનીને ગુજરાતના વિકાસને સતત નવી શક્તિ પૂરી પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ