
ભાવનગર, 22 માર્ચ (હિ.સ.)ગારિયાધાર તાલુકાની પીએમશ્રી પરવડી કેન્દ્રવર્તી શાળાના બાહોશ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ શિક્ષક શ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને તા. ૨૧ માર્ચ ૨૦૨૬ ના રોજ ચાસમાંડવા (ધરમપુર) ખાતે આવેલ સનાતન નિસર્ગધામમાં ગુજરાત શૈક્ષણિક – સાંસ્કૃતિક મંચ દ્વારા “ફોરમ એવોર્ડ – ૨૦૨૬” થી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને વખાણવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલા ચાર પ્રતિભાશાળી શિક્ષકોમાં પરેશકુમાર હિરાણીની પસંદગી થવી ગારિયાધાર તાલુકા તેમજ ભાવનગર જિલ્લા માટે ગૌરવની વાત બની છે. તેઓ શાળાના વિદ્યાર્થીઓ માટે નવીન શિક્ષણ પદ્ધતિઓ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને મૂલ્ય આધારિત શિક્ષણ દ્વારા ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડે છે. શાળા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમનો ઉત્સાહ અને સમર્પણ હંમેશા પ્રશંસનીય રહ્યો છે.
પરેશકુમાર હિરાણીના આ સન્માનથી સમગ્ર ભાવનગર જિલ્લા ના શિક્ષક વર્ગમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે.
તેમના ઉત્તમ શિક્ષણ કાર્ય બદલ તેમને અગાઉ પણ અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી શિક્ષક સન્માન, ભાવનગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે ચિત્રકૂટ એવોર્ડ, બાલસાથી એવોર્ડ (દિલ્લી), ગુજરાત સિને મિડિયા એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ, પર્યાવરણ સંરક્ષક એવોર્ડ, પ્રકૃતિ મિત્ર એવોર્ડ, સોરવી માનવતા રત્ન એવોર્ડ અને ગુજરાત સારસ્વત સન્માન એવોર્ડનો સમાવેશ થાય છે.
શિક્ષણ પ્રત્યેની તેમની લગન, નવીન વિચારસરણી અને સમાજ પ્રત્યેની જવાબદારીભાવના તેમને અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બનાવે છે. “ફોરમ એવોર્ડ – ૨૦૨૬” તેમના કાર્યપ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમર્પણનું ઉત્તમ પ્રતિબિંબ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT