
બોટાદ,22 માર્ચ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ ભક્તરાજ દાદા ખાચર વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે ચકલી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. એનએસએસ વિભાગ અને સામુદાયિક સેવાધારા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 1000 ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, પક્ષીઓ પ્રત્યે માનવીઓમાં સંવેદનશીલતા વધારવી તેમજ લુપ્ત થતી ચકલી પ્રજાતિને બચાવવા જનજાગૃતિ લાવવાનો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણ અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે, જેને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત એનએસએસના સ્વયંસેવકો દ્વારા કોલેજ પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચકલી માટે માટીના માળા તેમજ પાણીના કુંડાઓ મુકવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી.
1000 માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે 80 હજાર રૂપિયા થયો હતો. આ સમગ્ર ખર્ચ હરીપર ગામના ઉદ્યોગપતિ કિશોરભાઈ સોનાણી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમના આ યોગદાનને કાર્યક્રમ દરમિયાન વિશેષ રીતે બિરદાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રોફેસરો અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આવો કાર્યક્રમ માત્ર ચકલીના સંરક્ષણ માટે જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ ઉત્તમ પ્રયાસ છે. ગઢડા વિસ્તારમાં આ પહેલને સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT