
- કૃષિ અને પશુપાલન મંત્રીના હસ્તે નવનિયુક્ત 34 બીજ અધિકારી અને 11 પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત
ગાંધીનગર,25 માર્ચ (હિ.સ.) ગાંધીનગર ખાતે કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારમાં નવનિયુક્ત બીજ અધિકારી અને પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને પશુપાલન મંત્રીના હસ્તે નવનિયુક્ત 34 બીજ અધિકારી તથા 11 પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કૃષિ મંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાને અત્યંત પારદર્શક બનાવવામાં આવી છે, જેના પરિણામે આજે હજારો પ્રતિભાશાળી યુવાનો કોઈપણ ભલામણ વગર પોતાની મહેનતથી સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.
મંત્રીએ જણાવ્યું કે, કૃષિ અને પશુપાલન વિભાગમાં કામ કરવું એ માત્ર નોકરી નથી, પણ અન્નદાતાની સેવાની એક ઉત્તમ તક છે. બીજ નિગમમાં જોડાયેલા અધિકારીઓની જવાબદારી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ યોગ્ય સમયે અને વ્યાજબી ભાવે મળી રહે તે સુનિશ્ચિત કરવાની છે. મગફળી, ડાંગર, ઘઉં અને ચણા જેવા પાકોનું ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન ખેડૂતોના સમૃદ્ધિકરણમાં મહત્વનો ભાગ ભજવશે. તેવી જ રીતે, પશુ નિરીક્ષકોને મૂંગા પશુઓની સેવા કરવાનો અવસર મળ્યો છે.
નવનિયુક્ત અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047ના 'વિકસિત ભારત'ના વિઝનમાં સહભાગી થવા મંત્રીએ આહવાન કર્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતનું વહીવટીતંત્ર અન્ય રાજ્યો કરતા અલગ ઓળખ ધરાવે છે, કારણ કે અહીંના અધિકારીઓ સમર્પણ ભાવથી કામ કરે છે. તેમણે યુવાનોને 10 થી 5 ની નોકરીની માનસિકતા છોડી, પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી જનકલ્યાણના કામોમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
મંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ફિલ્ડમાં કામ કરતી વખતે આવતા નવા સૂચનો કે પ્રશ્નો માટે અમારી ઓફિસના દ્વાર હંમેશા ખુલ્લા છે. નાના સૂચનો પણ ભવિષ્યમાં મોટી જનકલ્યાણકારી યોજનાઓનું સ્વરૂપ લઈ શકે છે. અંતમાં મંત્રીએ નવનિયુક્ત અધિકારીઓને પ્રામાણિકતા અને નિષ્ઠાથી ફરજ બજાવવાની શીખ આપી હતી.
આ સમારોહમાં પશુપાલન અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી તથા કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી.મીણા ઉપરાંત કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારી-કર્મચારીઓ, નવનિયુક્ત ઉમેદવારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ