


- VGRC -દક્ષિણ ગુજરાત થકી ભરૂચના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય જોડાણની તક
- ભરૂચમાં કુલ 1394 જેટલા ઉદ્યોગો, જેમાંથી 45% કેમિકલ યુનિટો સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી
- USD 986 મિલિયનથી વધુ અમેરિકી નિકાસ અને 23.5% થી વધુ રાષ્ટ્રીય ફાળો સાથે ભરૂચ બન્યું કેમિકલ કેપિટલ
ગાંધીનગર,25 માર્ચ (હિ.સ.) ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેમાં ભરૂચ જિલ્લો કેમિકલ તથા પેટ્રોકેમિકલ ઉદ્યોગના ક્ષેત્રમાં દેશના અગ્રણી હબ તરીકે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ જિલ્લો આજે વિશ્વકક્ષાના કેમિકલ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયો છે.
નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગ એકમોની વ્યાપક હાજરીને કારણે અહીં અદ્યતન ઉત્પાદન ક્ષમતા વિકસેલી છે, જેના પરિણામે આ વિસ્તારને “ભારતનું કેમિકલ કેપિટલ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પ્રગતિને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે, આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત 2026 નું આયોજન સુરત ખાતે થવા જઈ રહ્યું છે. VGRC ગુજરાત રાજ્યનું મહત્વપૂર્ણ પ્રાદેશિક મંચ છે, જ્યાં ઉદ્યોગ, વેપાર અને નવીનતાના ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ એકત્રિત થશે. આ મંચ દ્વારા વિસ્તૃત રોકાણ, ટેકનોલોજીકલ સહકાર અને વૈશ્વિક ભાગીદારી માટે નવી તકો ઊભી થશે, જેના પરિણામે રાજ્યના ઉદ્યોગ વિકાસને નવી ગતિ મળશે.
ભરૂચ જિલ્લામાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડિયેટ્સ, ડાયઝ અને પિગમેન્ટ, એગ્રોકેમિકલ્સ અને પેસ્ટિસાઇડ, ટેક્સટાઇલ અને ફાઇબર સહિતના વિવિધ સબ-સેક્ટર્સમાં કુલ 1394 જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. તેમાંના 45% થી વધુ કેમિકલ યુનિટો અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવી ઔદ્યોગિક વસાહતોમાં સ્થિત છે, જ્યાંથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે લગભગ 2 લાખ લોકોને રોજગારી મળી રહી છે.
ઉદ્યોગ વિકાસ પાછળના મુખ્ય પરિબળો
વિતરણ, માર્ગ, શક્તિ, પાણી અને માનવબળ જેવી આધારભૂત સુવિધાઓ સાથે રાજ્ય સરકારની અનુકૂળ નીતિઓએ ભરૂચનું ઉદ્યોગ પર્યાવરણ મજબૂત બનાવ્યું છે. આ ઔદ્યોગિક પ્રગતિમાં MSME અને મોટી કંપનીઓ બંને યોગદાન આપી રહ્યા છે, જે સ્થાનિક રોજગારી વધારવાના સાથે દેશને નિકાસમાં પ્રતિષ્ઠિત સ્થાન અપાવી રહ્યા છે.
રાજ્ય અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં યોગદાન
ભરૂચ જિલ્લો આજે ભારતના આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ “ગ્રોથ એન્જિન” તરીકે ઉભરી આવ્યો છે અને ખાસ કરીને કેમિકલ ક્ષેત્રમાં ભરૂચ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે. દેશના કુલ કેમિકલ નિકાસમાં અંદાજે 19 % કરતાં વધુ ફાળો ભરૂચ જિલ્લો આપે છે, જ્યારે ગુજરાત રાજ્યએ છેલ્લા વર્ષે ભારતના કુલ કેમિકલ નિકાસમાં 45% જેટલો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડ્યો છે, જે રાજ્યના મજબૂત ઔદ્યોગિક આધાર અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું પ્રતિબિંબ છે.
ભરૂચ જિલ્લો રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નિકાસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. અહીં ઉત્પાદન થતા વિવિધ કેમિકલ ઉત્પાદનો અમેરિકા, બ્રાઝિલ, જાપાન, નેધરલેન્ડ વગેરે દેશો તેમજ દક્ષિણ આફ્રિકા જેવા વૈશ્વિક બજારોમાં નિકાસ થાય છે અને વિશ્વભરના ગ્રાહકો તરફથી ઊંચી માન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે.
VGRC: ભવિષ્યના ઉદ્યોગ દિશાદર્શક મંચ
VGRC દક્ષિણ ગુજરાત અંતર્ગત કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે વિશેષ સત્રો, રોકાણ પર્વ, સ્ટાર્ટઅપ પિચ તથા ઇનોવેશન ડાયલોગ્સનું આયોજન કરવામાં આવશે, જેથી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક માપદંડો સાથે સ્પર્ધાત્મક બનવાની તક મળશે. સુરતમાં VGRCના આયોજનથી પરિવહન, લોજિસ્ટિક્સ અને વેપાર પ્રવૃત્તિઓ માટે અનુકૂળ માહોલ સર્જાશે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સહકાર વધશે. આ પ્રક્રિયા દ્વારા ભરૂચ સહિતના ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ ખુલશે, નવા રોકાણકારો આકર્ષાશે અને યુવા ઉદ્યોગસાહસિકોને નવી દિશા મળશે.
પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ
છેલ્લા કેટલાક વર્ષો માં અહીંના ઉદ્યોગકારોની સકારાત્મક ભૂમિકા ને કારણે પર્યાવરણ ક્ષેત્રે અનેક પ્રદૂષિત કચરા ના નિકાલ માટે ની અનેક ગુણવત્તા ધરાવતી સાઈટ કાર્યરત છે. હવા પ્રદુષણ ને નિયંત્રણ માં રાખવા કરોડો ના ખર્ચે સુવિધાઓ ઉભી કરાઈ છે. જલ પ્રદૂષિત પાણી ના નિકાલ માટે અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી, દહેજ અને વિલાયત થી દરિયામાં ઊંડે NEERI દ્વારા નિર્ધારિત કરાયેલ સાઇટ માં નિકાલ કરી રહ્યો છે. પર્યાવરણ ના જતન માટે GPCB અને CPCB પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ છે.
ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણનું રક્ષણ અને ટકાઉ વિકાસ એ આજના સમયની મુખ્ય આવશ્યકતા છે. ભરૂચમાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હવા પ્રદૂષણ નિયંત્રણ મશીનરી અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ અમલમાં છે, જે ટકાઉ ઉત્પાદન પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.
સરકારની નીતિઓએ કેમિકલ ઉદ્યોગોને આપ્યો સૌથી વધુ વેગ
કેમિકલ ઉદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ઉભું કરીને તથા તે પ્રમાણે ઔદ્યોગિક એસ્ટેટ વિકસાવી અને સરળ હપ્તા પધ્દ્ધતિથી જમીનની ફાળવણી કરીને તેમજ સરકારની સબસિડી, વીજળી બિલમાં રાહત, પહેલા સર્વિસ ટેક્સ અને હવે GST રીઈમ્બર્સમેન્ટ જેવી યોજનાઓ ખૂબ લાભકારી બની રહી છે.
ડિજિટલ સુવિધા અને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ
રાજ્ય સરકાર દ્વારા સિંગલ વિન્ડો અને ઑનલાઇન પોર્ટલ જેવી સુવિધાઓથી ઉદ્યોગોને મંજૂરી પ્રક્રિયા સરળ થઇ છે. સમય અને ખર્ચ બંનેમાં બચત થતી હોવાથી વધુ ઉદ્યોગો રૂચી દાખલ કરી રહ્યા છે.
ભવિષ્યના રોકાણ માટે ભરૂચ કેમિકલ સેક્ટરમાં નવા સબ-સેક્ટર્સની શક્યતાઓ
દહેજ વિસ્તારને આવરી લેતા પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્ર તથા VGRC જેવી મહત્વપૂર્ણ પહેલોના કારણે ભવિષ્યમાં ભરૂચ અને આસપાસના વિસ્તારો માટે મોટા પાયે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે.
આ પ્રકારના પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક ઉદ્યોગોને આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક કનેક્શન અને નવા રોકાણોની તક મળશે. VGRC જેવી પ્રોસ્પરિટી પ્લેટફોર્મ રાજ્ય સરકાર, ઉદ્યોગપતિઓ અને યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે સહકાર વધારશે અને “વોકલ ફોર લોકલ” તથા “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને મજબૂત આધાર આપશે.
આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 452.98 ચોરસ કિલોમીટરમાં જાહેર કરાયેલ પેટ્રોલિયમ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ રોકાણ ક્ષેત્ર (PCPIR) ભવિષ્ય માટે એક મોટો રોકાણ હબ બની રહ્યો છે. હાલ કેટલીક જગ્યાએ પાણી, વીજળી અને માર્ગ જેવી માળખાગત સુવિધાઓના વિકાસની જરૂરિયાત છે,
તેમ છતાં આ પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ-ક્લાસ લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની પ્રક્રિયા આગળ વધી રહી છે, જે કેમિકલ અને પેટ્રોકેમિકલ એકમો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આ તમામ પ્રયત્નોના પરિણામે ભરૂચ જિલ્લો હવે માત્ર કેમિકલ સેક્ટરનો હબ નહીં, પરંતુ વૈશ્વિક ઉદ્યોગ નકશામાં મજબૂત સ્થાન ધરાવતું એક આગવું ઔદ્યોગિક કેન્દ્ર બની રહ્યો છે, જે સમગ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે નવી દિશા અને નવી તક રજૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષ શાહ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ