
બોટાદ, 25 માર્ચ (હિ.સ.)બોટાદ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના અભાવ અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ક્યાંય કોઈ પ્રકારની અછત નથી. બોટાદ જિલ્લાના તમામ ૭૦ પેટ્રોલ પંપો પર નિયમિત રીતે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો યથાવત છે અને સામાન્ય રીતે ગ્રાહકોને સેવા આપવામાં આવી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઈંધણની અછત અંગે ભ્રામક માહિતી ફેલાતી હોવાના કારણે નાગરિકોમાં અનાવશ્યક ગભરાટ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોએ લોકો દ્વારા અફવાઓના કારણે વધારાનો સ્ટોક કરવા માટે પેટ્રોલ પંપો પર ભીડ પણ જોવા મળી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ પરિસ્થિતિ નથી અને ઈંધણ પુરવઠામાં કોઈ વિક્ષેપ નથી.જિલ્લા વહીવટી તંત્રએ બોટાદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમોથી ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરે. કોઈપણ માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ રાખવો અને અનાવશ્યક ગભરાટ કે ભીડ ટાળવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT