
રાજપીપળા,25 માર્ચ (હિ.સ.) નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી કુલ 10 ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને આંગણવાડીના મકાન, સરકારી યોજનાની નાણાંકીય બાબતો, RCC રસ્તો, જમીન માપણી અને રિસર્વે (પ્રમોલગેશન), સ્માર્ટ મીટર સંબંધિત અસમંજસતા, વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ, ખેતીની જમીનમાં ઉમેરાયેલા નામોની કમી, જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે. આ સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને પ્રશાસન વચ્ચે વિશ્વાસનો સેતુ બની રહ્યો છે. સ્વાગત કાર્યક્રમ દ્વારા પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત પ્રશાસનને વધુ મજબૂતી મળી રહી છે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા કક્ષા અને તાલુકાના વિવિધ વિભાગોના અધિકારી અને અરજદારો ઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ