
ભાવનગર,25 માર્ચ (હિ.સ.) ભાવનગર શહેરમાં માનવસેવાનો અનોખો અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. ભાવનગર નિવાસી સ્વ. રામજીભાઈ ગોવિંદભાઈ ભોજક ના અવસાન બાદ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના કુટુંબીજનોએ દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. આ દેહદાન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, જે આ શાખાનું 1096 મું દેહદાન છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન અને દેહદાન વિભાગ દ્વારા આ અનમોલ દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. બાદમાં સદગતનો પાર્થિવ દેહ સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રાયોગિક અભ્યાસ અને સંશોધન માટે સોંપવામાં આવ્યો હતો. આ પ્રકારના દેહદાનથી ભવિષ્યના ડોક્ટરોને માનવ શરીરની રચના અને વિજ્ઞાન અંગે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે આરોગ્યસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દિવાનપરા રોડ સ્થિત રેડક્રોસ ભવન ખાતે 24 કલાક ચક્ષુદાન અને દેહદાનની સેવાઓ ઉપલબ્ધ છે. સંસ્થા દ્વારા જણાવાયું છે કે, અગાઉ સંકલ્પ પત્રમાં નોંધણી કરાવેલી ન હોય તો પણ અવસાન સમયે દેહદાન અને ચક્ષુદાન કરી શકાય છે.
.આ પ્રસંગે રેડક્રોસ દ્વારા દેહદાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સમાજમાં વધુને વધુ લોકો દેહદાન અને ચક્ષુદાન જેવા મહાન કાર્ય માટે પ્રેરિત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT