

અમદાવાદ, 26 માર્ચ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમના વડોદ ગામના પ્રવાસ દરમિયાન ખેડૂત વજેસંગ ડાભીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આશરે 150 જેટલા ખેડૂતો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
રાજ્યપાલએ અહીં ફાર્મના માલિક ખેડૂત વજેસંગ ડાભી પાસેથી પ્રાકૃતિક પદ્ધતિથી પાકનું ઉત્પાદન અને વેચાણ સહિતની બાબતોની માહિતી મેળવી હતી.
આ ઉપરાંત રાજ્યપાલએ સમગ્ર ખેતર અને તેમાં વાવેલા પાકનું નિરીક્ષણ કર્યું હતું. ફાર્મમાં ખેડૂત વજેસંગ ડાભી દ્વારા અપનાવેલ પ્રાકૃતિક ખેતી જોઈ રાજ્યપાલ આનંદિત થયા હતા અને ખેડૂતને અભિનંદન આપ્યા હતા.
ખેતરમાં રાજ્યપાલએ સાદગીપૂર્ણ રીતે ખાટલા પર બેસીને ખેડૂત ભાઈઓ-બહેનો સાથે સહજતાથી સંવાદ સાધ્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે જણાવી અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉન્નત બનશે અને દેશ સ્વસ્થ બનશે.
આ તકે રાજ્યપાલએ પોતે અપનાવેલ પ્રાકૃતિક ખેતી અને તેનાથી થયેલ ફાયદાઓ વિશે પણ ખેડૂતોને વાત કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે તેના માટે સ્થાનિક સ્તરે વેચાણ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે.
વધુમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પણ પોતાની સાફલ્ય ગાથાનું વર્ણન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ કરી રહેલા તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલની ખેતરની આ મુલાકાતને ખેડૂતોએ હર્ષભેર વધાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ