



પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા માધવપુર ઘેડ લોકમેળામાં પ્રવાસન નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો સરળતાથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકે તે માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ અને આકર્ષક સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
માધવપુર ઘેડ મેળા પરિસરને મોરપીંછ, વાંસળી તથા ભગવાન શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોની ઝાંખી દર્શાવતી કલાત્મક સજાવટથી સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આકર્ષક બની ગયું હતું. સાથે જ, મેળાને લોકભોગ્ય બનાવવાના હેતુથી કરવામાં આવેલી સુવ્યવસ્થિત માળખાકીય વ્યવસ્થાઓને લઈને મુલાકાતીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા મેળામાં વિવિધ રાજ્યોના તથા સ્થાનિક કલાકારોની કલાત્મક પ્રસ્તુતિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકોએ ખૂબ પ્રશંસા આપી હતી. ખાસ કરીને, જે રાજ્યના કલાકારો પ્રસ્તુતિ આપતા હતા, તે રાજ્ય વિશેની માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવતા કાર્યક્રમ વધુ માહિતીસભર અને રસપ્રદ બન્યો હતો. આ રીતે બન્ને વિભાગોની સુમેળસભર કામગીરીથી મેળામાં સકારાત્મક છાપ ઊભી થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya