
પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રાહત મળે તેમજ અગાઉના વર્ષોથી બાકી રહેલા વિવિધ પ્રકારના કરવેરાની વસૂલાત સરળ બને તે હેતુસર વિશેષ વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારની તમામ રહેણાંક તથા બિનરહેણાંક મિલકતોના માલિકોને તા. 31-03-2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તેઓ પોતાના અગાઉના વર્ષોની બાકી તેમજ ચાલુ વર્ષની બાકી સહીતની તમામ કરવેરાની રકમ ભરપાઈ કરશે તો તેમને વ્યાજમાં નોંધપાત્ર રાહત મળશે. રહેણાંક મિલકતો માટે બાકી કરવેરા પર લાગતા વ્યાજમાં 60% સુધી રીબેટ (વળતર) આપવામાં આવશે, જ્યારે બિનરહેણાંક મિલકતો માટે વ્યાજમાં 40% સુધી રીબેટ (વળતર) આપવામાં આવશે. ઉપરાંત, બાકી કરવેરા સંબંધિત નોટીસ ફી તથા વોરંટ ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ યોજના નાગરિકોને આર્થિક રીતે રાહત પૂરી પાડવાની સાથે લાંબા સમયથી બાકી રહેલા કરવેરા ચૂકવવાની સુવર્ણ તક આપે છે. સમયમર્યાદિત યોજનાનો વધુમાં વધુ લાભ લઈ સમયસર પોતાના બાકી કરવેરાની રકમ ભરપાઈ કરે અને શહેરના વિકાસ કાર્યોમાં સહભાગી બની સહકાર આપવા મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya