




પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર વિધાનસભા વિસ્તાર હેઠળ આવતાં વિવિધ જળસ્ત્રોતોના કામોની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી.
મંત્રીએ બખરલા, પાંડાવદર, કિંદરખેડા, ભારવાડા ગામોના હમીસર તળાવવાળા વોકળા, પાંડાવદર કેનાલ, ઘાઘડીયા વોકળા, વાછોડા વોકળા તેમજ ઘેલીયા વોકળા ખાતે જઈને હાલ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમિયાન મંત્રીએ સ્થળ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને જળ સંચય, વહેણ વ્યવસ્થા અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને કામ ગુણવત્તાપૂર્વક કામો સમયસર પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી. સાથે જ આવનારા વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને તેનો લાભ મળે તે દિશામાં કાર્ય કરવા તાકીદ કરી હતી.
વધુમાં મંત્રીએ ગ્રામજનો સાથે વાર્તાલાપ કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી અને દેગામ લાવડીયા ડાડાના મંદિરે કોમ્યુનીટી હોલના કામ લોકાર્પણ અને વિવિધ ગામોમાં મંજુર થયેલ ગ્રામ પંચાયત કચેરીનું ખાતમૂહત પણ કરવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, અગ્રણી રામદેવમોઢવાડિયા, લખમણ ઓડેદરા, આવડા ઓડેદરા, અરસી ખુટી, સામત ઓડેદરા સહિતના ગામોના સરપંચઓ અને અગ્રણી ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya