સતાધારનાં અલખનાં ઓટલે આત્મનિર્ભરતાની આરતી: રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે
ગાંધીનગર, 29 માર્ચ (હિ.સ.) : ગુજરાતનાં જુનાગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાની જગ્યા સતાધાર ધામ તેની સંધ્યા આરતી દર્શન માટે પ્રખ્યાત છે. પણ આપા ગીગાનો આ ‘અલખનો ઓટલો’ હવે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભતાનું પ્રતિક બન્યો છે. સતાધા
સતાધાર


સતાધાર


ગાંધીનગર, 29 માર્ચ (હિ.સ.) : ગુજરાતનાં જુનાગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાની જગ્યા સતાધાર ધામ તેની સંધ્યા આરતી દર્શન માટે પ્રખ્યાત છે. પણ આપા ગીગાનો આ ‘અલખનો ઓટલો’ હવે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભતાનું પ્રતિક બન્યો છે. સતાધારની જગ્યા સંધ્યા આરતીની પવિત્ર જ્વાળાની સાથે સાથે આત્મનિર્ભતાની જ્વાળા પણ પ્રજ્વલ્લિત કરી રહી છે.

સતાધાર ધામમાં ગુજરાતનો સૌથી મોટી ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. 85 ઘટમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ હાલ કાર્યરત છે અને બીજા બે (85 ઘનમીટર પ્રતિદિવસ) નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે.

સતાધારની જગ્યામાં એક હજાર ગાયો છે. અહીં યાત્રાળુઓ માટે એક વિશાળ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જ્યાં રોજ સરેરાશ 10 હજાર લોકો ભોજન લે છે. આ રસોડુ ચલાવવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસ ઉતપન્ન કરવા માટે રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે.

સંસ્થાનાં વ્યવસ્થાપકોએ જણાવ્યું કે, જ્યારે બાયોગેસ નહોતો ત્યારે રસોઇ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં રોજનું 800 થી 900 કિલો લાકડુ વપરાતુ હતું. જ્યારે સિલિન્ડરનો ઉપયોગ કરતા ત્યારે રોજ સરેરાશ 10 થી 15 જેટલા સિલિન્ડરનો ઉપયોગ થતો હતો.

સતાધારનાં મંહત વિજયબાપુએ જણાવ્યું કે, અમે સંપુર્ણ રસોઇ બનાવવા માટે સંપુર્ણપણે આત્મનિર્ભર છીએ અને રસોઇ માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ સંસ્થાની ખેતીમાં કરવામાં આવે છે,’’.

ગુજરાત સરકારનાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા ‘સંસ્થાકિય બાયોગેસ પ્લાન્ટ યોજના’ હેઠળ સંસ્થાઓને બાયોગસ પ્લાન્ટ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. સતાધાર ધામમાં પણ બાયોગેસ પ્લાન્ટ માટે સબસિડી આપવામાં આવી છે.

ગુજરાતમાં આવેલી ગૌશાળાઓ, પાંજરાપોળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટો પાસે મોટા પ્રમાણમાં પશુધન તેમજ ખેત કચરો અને રસોઈગૃહમાંથી નીકળતો એંઠવાડ ઉપલબ્ધ રહે છે. આ તમામ જૈવિક પદાર્થોને પ્રાણવાયુની ગેરહાજરીમાં (એનેરોબિક પ્રક્રિયા દ્વારા) કોહડાવતા બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ બાયોગેસનો ઉપયોગ રાંધવા માટે સસ્તો ગેસ પુરો પાડે છે. સાથે સાથે આ પ્રક્રિયા બાદ મળતું સ્લરી ઉત્તમ નાઈટ્રોજનયુક્ત સજીવ ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી બને છે. ગુજરાત સરકારની ગુજરાત એનર્જી ડેવલેપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો માટે સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત વૈકલ્પિક ઉર્જાનાં ઉપયોગ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે.

રાજ્યમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા તેમજ ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં ઉત્પન્ન થતા જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે સદુપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાની વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાઓને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જવો, પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

આ યોજના હેઠળ ૨૫, ૩૫, ૪૫, ૬૦ અને ૮૫ ઘનમીટર ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે. બિનનફાકીય સંસ્થાઓને કુલ મૂલ્યના ૭૫% સુધી અને નફાકીય સંસ્થાઓને ૫૦% સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ સંસ્થાઓ સ્વચ્છ ઊર્જા અને સજીવ ખેતી તરફ આગળ વધે.

સમગ્ર રાજ્યમાં 193થી વધારે સંસ્થાકીય બાયોગેસ કાર્યરત

ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સંસ્થાકીય બાયોગેસ યોજના હેઠળ કુલ રૂ. ૧૨.૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી અંદાજે ૬૦ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે. આ યોજનાના અમલીકરણ માટે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન કુલ ૧૫ એજન્સીઓને માન્યતા આપવામાં આવી છે. આ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ દરમ્યાનના છેલ્લા પાંચ વર્ષોમાં કુલ ૧૯૩ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા ૧૩૯૫૫ ઘનમીટર પ્રતિ દિવસ જેટલી થાય છે.

આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે પણ સંસ્થાકીય બાયોગેસ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૨.૦ કરોડની જોગવાઈ હેઠળ અંદાજે ૬૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande