
બોટાદ, 29 માર્ચ (હિ.સ.) : બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી “પક્ષી બચાવો અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ચકલી જેવા નાનાં પક્ષીઓના સંરક્ષણ માટે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં પાણીની અછતને કારણે પક્ષીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનારોએ પોતાના ઘરો તથા આસપાસના વિસ્તારોમાં ચકલીના માળા સ્થાપિત કરવા અને પાણીના કુંડા રાખવા માટે સંકલ્પ લીધો હતો. આ સાથે પક્ષીઓના સંરક્ષણ માટે વધુમાં વધુ લોકો જોડાય તે માટે જાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.આ અભિયાન સાથે સાથે રાષ્ટ્રભક્તિના ભાવને ઉજાગર કરવા માટે એક ભવ્ય બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જેમાં દેશભક્તિના નારા અને સંદેશાઓ સાથે યુવાનોમાં ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તથા ભારતીય બંધારણના કડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાંઆવીહતી.
આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રપ્રેમ બંનેનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT