
વલસાડ, 03 માર્ચ (હિ.સ.) વલસાડ નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો 2026’ ની સફળ પૂર્ણાહુતી સાથે સ્થાનિક મહિલા શક્તિનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું. 24 ફેબ્રુઆરીથી 02 માર્ચ દરમિયાન યોજાયેલા આ 07 દિવસીય મેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “સર્જનથી સમૃદ્ધિ” ના મંત્રને સાકાર કર્યો હતો. સ્વદેશી મેળાના માત્ર 07 દિવસમાં મહિલાઓએ 09 લાખથી વધુનો વેપાર કરી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યુ હતું.
આ મેળામાં આશરે 50 જેટલા સ્ટોલ્સ પર સખીમંડળની બહેનોએ પોતાના ઘરેલુ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કર્યું હતું. આ ખરીદી સ્થાનિક ઉત્પાદનો પ્રત્યે લોકોના વિશ્વાસ અને મહિલાઓની મહેનતનું પ્રતિક છે. આ મેળામાં પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે ધરમપુરનાં યોગીતાબેને નાગલીના બિસ્કિટ અને લસણની ચટણી વેચીને અંદાજે રૂ. 12 હજાર જેટલી આવક મેળવી હતી. આ ઉદાહરણ દર્શાવે છે કે, પરંપરાગત અને પૌષ્ટિક આહાર વસ્તુઓ આજે પણ બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે.
હસ્તકલા અને ઘરેલું ઉત્પાદનોને પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા કિંજલ રાવલ અને ઉર્વશી પટેલે જણાવ્યું કે, હેન્ડમેડ બંગડીઓ, સેટ અને એરિંગ્સ જેવી વસ્તુઓને સારો પ્રતિસાદ મળ્યો અને અંદાજે રૂ. 10 હજાર જેટલી આવક થઈ હતી. વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સીબી સ્કૂલના ગ્રાઉન્ડની બાજુમાં યોજાયેલા સ્વદેશી મેળામાં લસણની ચટણી, અથાણાં, મિલેટ્સની મીઠાઈઓ અને નાગલીના પાપડ જેવી ચીજવસ્તુઓ લોકપ્રિય રહી હતી. શુદ્ધ અને પૌષ્ટિક આહાર પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે મિલેટસ આધારિત વાનગીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ મેળામાં પર્યાવરણ મિત્ર ઉત્પાદનોનું પણ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેળો માત્ર વેપાર પૂરતો સીમિત રહ્યો ન હતો પરંતુ પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો. લીમડા, કેસુડા અને ચંદનથી બનેલા કેમિકલમુક્ત કોસ્મેટિક્સ તેમજ વાંસમાંથી બનાવેલ કલાત્મક ઘર સજાવટની વસ્તુઓએ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું. આ સ્વદેશી મેળાએ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો અને મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્થાનિક કારીગરો અને સખીમંડળ માટે આવા આયોજનો ભવિષ્યમાં વધુ પ્રગતિના દ્વાર ખોલશે અને “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાનને વધુ મજબૂત બનાવશે એવુ પ્રતિત થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે