
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં લંગાળા-ઝાંઝમેર રોડ વચ્ચે પસાર થતી ગઢુલી નદી ઉપર રૂ. 2 કરોડ ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા બ્રિજના કામનું ભૂમિપુજન વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથના હસ્તે પૂજનવિધિ સંપન્ન થઈ હતી, જેમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બ્રિજના નિર્માણથી વિસ્તારના વિકાસને મહત્વપૂર્ણ વેગ મળશે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ગઢુલી નદીમાં પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતો હતો, જેના કારણે ખેડુતો, વાહનચાલકો અને ગામલોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવા બ્રિજના નિર્માણથી હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને લોકો માટે અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે.આ બ્રિજ પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આ મહત્વપૂર્ણ વિકાસકાર્ય માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભૂમિપુજન કાર્યક્રમમાં નીલકંઠ મહાદેવ મંદિરના મહંત બચુગરબાપુ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રતાપ આહીર, ભાજપ પ્રમુખ રોહિત બગદરીયા તેમજ અગ્રણીઓ પોપટભાઈ ચૌહાણ અને રવિભાઈ પંડ્યા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહી આ વિકાસકાર્યને આવકાર્યું હતું. આ બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકો માટે રાહતરૂપ સાબિત થશે અને ખેતી તથા વેપાર સાથે સંકળાયેલા લોકોના જીવનમાં પણ સકારાત્મક ફેરફાર લાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT