
અમરેલી, 30 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેલવે સ્ટેશન નજીક આવેલી ખુલ્લી જમીન માટે પ્રોટેક્શન વોલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાંબા સમયથી આ ખુલ્લી જમીનને કારણે આસપાસના વિસ્તારમાં સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ ઉભી થતી હતી. પ્રોટેક્શન વોલ બન્યા બાદ આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે તેમજ લોકોની સલામતીમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિકાસ કાર્યો દ્વારા વિસ્તારમાં સુવિધાઓ વધારવાનું સરકારનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવી કામગીરીઓથી સ્થાનિક લોકોને સીધો લાભ મળશે અને વિસ્તારનો વિકાસ ઝડપી બનશે.
આ પ્રસંગે રેલવે અધિકારીઓએ પણ પ્રોજેક્ટની વિગતો આપી હતી અને સમયસર કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસકાર્યને શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai