

મહેસાણા, 30 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામમાં એક ખેડૂત દંપતીએ પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નરેન્દ્રસિંહ ઠાકોર અને દીપિકાબેન ઠાકોર છેલ્લા 2 થી 3 વર્ષથી આશરે 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક રીતે શાકભાજી, અનાજ, કઠોળ, ઘઉં અને મગફળી જેવા પાકો ઉગાડી રહ્યા છે.
કોરોના સમયગાળા બાદ શહેર જીવન છોડીને ગામડે પાછા ફરેલા આ દંપતીએ સ્વસ્થ અને રસાયણમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી અપનાવી. નરેન્દ્રસિંહે વિવિધ તાલીમ શિબિરોમાં ભાગ લઈને માર્ગદર્શન મેળવ્યું અને ગૌપાલન સાથે ખેતી શરૂ કરી. ગીર ગાયના દૂધમાંથી બનતા ઉત્પાદનો ઉપરાંત તેઓ ‘ગૌ અમૃતમ’ જેવા દ્રાવણનો ઉપયોગ કરીને જમીનની ઊર્વરતા વધારી રહ્યા છે.
ખેડૂત નરેન્દ્રસિંહ જણાવે છે કે શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, પરંતુ સતત પ્રયત્નોથી જમીન વધુ ફળદ્રુપ બની અને પાકની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો. હાલ તેઓ સોશિયલ મીડિયા અને મિત્ર વર્તુળ મારફતે ઉત્પાદનોનું વેચાણ કરે છે.
આ દંપતી આજે પ્રાકૃતિક ખેતી અને ગૌપાલન દ્વારા દર વર્ષે અંદાજે 5 થી 6 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આ દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR