રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે એક જ દિવસમાં રૂ. 28.68 કરોડના કામોને મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી
ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : રાજ્યના ઐતિહાસિક વારસાને જાળવવા અને યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક જ દિવસમાં વિવિધ યાત્રાધામ અને પ્રવાસન
મંત્રી હર્ષ સંઘવી


ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : રાજ્યના ઐતિહાસિક વારસાને જાળવવા અને યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક જ દિવસમાં વિવિધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળો માટે અંદાજે રૂ. ૨૮.૬૮ કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે.

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરતા મજવેડી ગેટ તરફ કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ વ્યવસ્થા અને ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટરના પ્રથમ તબક્કા માટે રૂ. ૧.૦૭ કરોડ ના ખર્ચને મંજૂરી અપાઈ છે. અહીં ભવિષ્યમાં પ્રવાસીઓ માટે બે લિફ્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત, સુપ્રસિધ્ધ હર્ષદ માતાના મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે સૌથી મોટી રકમ એટલે કે રૂ. ૨૦.૦૯ કરોડના કામોનો વર્ક ઓર્ડર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

ધાર્મિક સ્થાનોની વાત કરીએ તો, મહેસાણાના શંખલપુર સ્થિત શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિર ખાતે પેવર બ્લોક અને સોલાર સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૬૦.૬૪ લાખ તેમજ અમરેલીના બગસરા સ્થિત આઇશ્રી ખોડિયાર મંદિર, સુડાવડ ખાતે સત્સંગ હોલ, પાર્કિંગ શેડ અને વોટર વર્ક્સ સહિતના કામો માટે રૂ. ૪૯.૮૦ લાખની મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત વલસાડ જિલ્લાના ઘડોઈ ખાતે આવેલા શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવા કામો માટે રૂ. ૧.૮૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવાના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા ૧૯૧૭માં સ્થાપિત ઐતિહાસિક ગાંધી આશ્રમના રિનોવેશન માટે રૂ. ૩.૩૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સાથે જ, ડાંગના આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમાન 'ડાંગ દરબાર-૨૦૨૬' ના ભવ્ય આયોજન માટે અત્યારથી જ રૂ. ૧.૨૫ કરોડની રકમ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તમામ વિકાસલક્ષી કામો આગામી સમયમાં ગુજરાતના પ્રવાસન નકશાને વધુ સુદ્રઢ બનાવશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધાઓના નવા દ્વાર ખોલશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande