
જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરના રણજીતસાગર રોડ પર રહેતાં બ્રાસપાર્ટના વેપારીનું જીએસટી એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોય, આ એકાઉન્ટ ચાલુ કરાવવા માટે તેના જ વકીલ સહિતના બે શખ્સો એ રૂા.60 લાખ જીએસટીમાં ભરવા માટે મેળવી લીધા બાદ આ જંગી રકમ એકાઉન્ટમાં નહી ભરી વિશ્વાસઘાત આચર્યાના બનાવમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
મળતી માહિતી મુજબ, લાલપુર તાલુકાના પીપરટોડા ગામનો વતની અને હાલ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક શેરી નં.11માં રહેતાં ભાવેશભાઈ અમૃતભાઈ તરાવીયા (ઉ.વ.37) નામના વેપારી યુવાનની જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં બી એમ ઈન્સ્ટ્રીઝ પ્રાઈવેટ ઝોન સબ પ્લોટ નંબર 96/05 આવેલી કલ્પ એન્ટરપ્રાઈઝ નામની બ્રાસસ્ક્રેપની પેઢી ચલાવતા હતાં અને આ પેઢીનું જીએસટી એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું અને જીએસટી વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી.
ત્યારબાદ વેપારીએ જીએસટી એકાઉન્ટ ફરીથી ચાલુ કરાવવા માટે જગદીશ રમેશ રામોલિયાનો સંપર્ક કર્યો હતો અને જગદીશે વકીલ પ્રકાશ ધીરુભાઈ દોંગાનો સંપર્ક કરાવ્યા બાદ વકીલ તરીકે પ્રકાશ દોંગા ઉપર વિશ્ર્વાસ મુકયો હતો. ત્યારબાદ વેપારી ભાવેશભાઈએ વકીલ પ્રકાશ દોંગાને રૂા.60 લાખ જીએસટી એકાઉન્ટમાં ભરોસો મુકી ભરવા માટે આપ્યા હતાં.
દરમિયાન વકીલને આ કામ કરવા માટે ફી પણ ચૂકવવામાં આવી હતી તેમ છતાં વકીલ પ્રકાશ દોંગાએ રૂા. 60 લાખ વેપારી ભાવેશભાઈના જીએસટી એકાઉન્ટમાં નહી ભરી પોતાના અંગત ઉપયોગમાં લઇ લીધા હતાં જેથી વેપારી દ્વારા આખરે આ રૂા.60 લાખની છેતરપિંડી સંદર્ભે જગદીશ રામોલિયા અને વકીલ પ્રકાશ દોંગા વિરૂધ્ધ પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt