
જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના મીયાત્રા ગામની સીમમાં સુરાપુરા દાદાના મંદિરના રિનોવેશન મામલે બોલાચાલી થયા બાદ આ બાબતનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સોએ ધારીયા, પાઇપથી હુમલો કર્યો હતો. જે મામલે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જામનગર તાલુકાના મીયાત્રા ગામના પૃથ્વીરાજસિંહ નવલસિંહ જાડેજા નામના યુવાને મીયાત્રા ગામના આરોપી મયુરસિંહ ભુપતસિંહ કેર અને યુવરાસિંહ કીરૂભા દેદા તથા બે થી ત્રણ અજાણ્યા શખ્સો (રહે.મુંગણી) સામે હુમલા મામલે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવાયા અનુસાર આરોપીની મીયાત્રા ગામના પાધરમાં પાન મસાલાની દુકાન આવેલી અને તે દુકાનની બાજુમા ફરીયાદી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા તેમના પરીવારના સુરાપુરા દાદાની દેરી (નાનું મંદિર) આવેલી છે, જેનું રીનોવેશન ચાલતું હતું આ રીનોવેશન ન કરવા આરોપી મયુરસિંહ જાડેજાએ ના પાડી હતી. તે બાબતે બોલાચાલા થઈ હતી.
જે બાબતનો ફરીયાદી ઉપર મયુરસિંહે ધારીયા જેવા હથીયાર વડે હુમલો કર્યો હતો. આરોપી યુવરાસિંહે લોખંડના પાઇપ વડે અને પાછળથી બે -ત્રણ અજાણ્યા શખ્સોએ આવી ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt