
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ધારાસભ્ય જે.વી. કાકડીયાની પત્ની કોકિલા કાકડીયાના એક નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. 11 એપ્રિલે ઉમેદવારી પત્ર રજૂ કરતી વેળાએ કોકિલા કાકડીયાએ આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયું છે.
તેમણે વિધર્મીઓના નાશ માટે ભાજપ સરકાર અને સંગઠન દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું, જે નિવેદન બાદ વિરોધ પક્ષો અને સમાજના વિવિધ વર્ગોમાં પ્રતિક્રિયાઓ ઉઠી છે. આ સમગ્ર મામલે પક્ષ માટે પણ મુશ્કેલી ઉભી થઈ હોવાનું માનવામાં આવે છે.
આ સાથે જ ચલાલાના દાનમહારાજના લઘુમહંત વલકુબાપુના દીકરા મહાવીરબાપુને ધારગણી જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં વધુ ચહલપહલ જોવા મળી રહી છે.
વિવાદ વધતા કોકિલા કાકડીયા મીડિયા સામે આવવાનું ટાળી રહી છે અને જાહેરમાં કોઈ સ્પષ્ટતા કરવાનું ટાળી રહી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં તણાવ ઊભો કર્યો છે અને આવનારી ચૂંટણી પર તેનો પ્રભાવ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai