
સુરત, 13 એપ્રિલ (હિ.સ.) : સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન એક આરોપીના મોતની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ છે. વાહન ચોરીના કેસમાં ઝડપાયેલા શંકાસ્પદ વ્યક્તિએ પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ પોલીસ વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
માહિતી મુજબ, સચિન પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરાથી એક આરોપીને પકડી સુરત લાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફ રૂમમાં તેની પૂછપરછ ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ કુદરતી હાજતે જવાની વાત કરી અને નજીકના શૌચાલયમાં ગયો હતો.
શૌચાલયમાં જતા તેણે ત્યાં રાખેલું ક્લીનિંગ માટેનું એસિડ પી લીધું, જેના કારણે તેની તબિયત બગડી ગઈ. તાત્કાલિક તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી કે નહીં તેની તપાસ થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે