

પાટણ, 14 એપ્રિલ (હિ.સ.)હારીજ ખાતે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે ઇન્દિરાનગર ખાતેથી વિશાળ શોભાયાત્રા શરૂ થઈ, જેમાં બાબાસાહેબના ફોટાને બગીરથમાં બિરાજમાન કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા હાઈવે ચાર રસ્તા અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાંથી વાજતે ગાજતે પસાર થઈ, જ્યાં તમામ સમાજના લોકોએ સમરસતા અને એકતાના ભાવ સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
શોભાયાત્રા સરદાર ચોકથી પરત ફરી બજારમાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી, જ્યાં તેનું વિસર્જન થયું હતું. પ્રતિમાને અનુસૂચિત જાતિના સંગઠનો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ-કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે દિનેશજી ઠાકોર, દશરથજી ઠાકોર, મુકેશજી ઠાકોર, વાઘજીભાઈ ચૌધરી, રમેશજી ઠાકોર, જીગરભાઈ મહેતા તેમજ અન્ય આગેવાનો અને આરએસએસના સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી. “જબતક સૂરજ ચાંદ રહેગા, બાબાસાહેબ તુમ્હારા નામ રહેગા” જેવા નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ