
વાપી , 14 એપ્રિલ (હિ.સ.) વાપી શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ની જયંતિ નિમિત્તે યોજાયેલી રેલી દરમિયાન એક અચાનક બનાવ સામે આવ્યો હતો. રેલીમાં સામેલ સ્કોર્પિયો N કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક આગ લાગી જતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, શરૂઆતમાં આગ ગાડીની વાયરિંગમાંથી લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારબાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીનો મોટો ભાગ બળી ગયો હતો.
આ બનાવને પગલે રેલી દરમિયાન થોડીવાર માટે અવરજવર પ્રભાવિત થઈ હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha