
સુરત, 14 એપ્રિલ (હિ.સ.): સુરતના મોટા વરાછા વિસ્તારમાં 13 એપ્રિલની સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ નજીક આઉટર રિંગ રોડ પર પગપાળા જતી ત્રણ મહિલાઓને ઝડપથી આવતી સ્કોર્પિયો કારએ પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક મહિલા સ્થળ પર જ મોતને ભેટી, જ્યારે અન્ય બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મૃતક ટીનુબેન રાઠોડ તેમની સગાભાઈની બહેનો સાથે કેટરિંગ કામ માટે આસ્થા ફાર્મ ગયા હતા. કામ દરમિયાન તેઓ નજીકની દુકાન પર નાસ્તો લેવા નીકળ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની. અકસ્માત બાદ કાર કાબૂ બહાર જઈ પલટી મારીને રોડની બાજુમાં ઉતરી ગઈ હતી.
આ બનાવ પછી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ કારચાલક યુવકને પકડીને માર માર્યો હતો. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને આરોપીને કસ્ટડીમાં લીધો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 19 વર્ષીય રોશન માલવિયા ભાડાની કાર લઈને મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. બેફામ ગાડી ચલાવવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે