
ઉમરગામ, 14 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રહ્મકચ્છે ટ્રેન આગળ કૂદી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે।
મળતી માહિતી અનુસાર, મામલતદાર ડી.સી. બ્રહ્મકચ્છ ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની કામગીરીમાં દિવસભર વ્યસ્ત હતા. ઉમરગામ તાલુકામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી હોવાથી ઉમેદવારોના ફોર્મની ચકાસણી, મંજૂરી અને રદ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી તેમના ઉપર હતી।
તેઓ દિવસભર આ કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા અને રાત્રે મોડા સુધી કામ ચાલતું હતું. ત્યારબાદ રાત્રે અંદાજે 10 થી 11 વાગ્યાની વચ્ચે ઉમરગામ રેલવે સ્ટેશન નજીક, પ્લેટફોર્મ પૂર્ણ થતું હોય તે વિસ્તારમાં તેમણે ટ્રેન આગળ કૂદી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે।
આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દિવસભર ચૂંટણીના કામમાં વ્યસ્ત રહેલા અધિકારીએ અચાનક આ પ્રકારનું પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઉભા થયા છે।
હાલમાં રેલવે GRP પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આત્મહત્યાના કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે।
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha