
જામનગર, 16 એપ્રિલ (હિ.સ.) જામનગર શહેરમાં મકાન વેચાણના બહાને નવી પ્રકારની છેતરપીંડીનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોન ચાલતું મકાન ટાઈટલ ક્લિયર હોવાનું બતાવી વેચાણ કરી ખરીદદારે મોટી આર્થિક ખોટ ભોગવવી પડી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી કેશુ જુઠાભાઈ નકુમ, મૂળ મોરબીના રહેવાસી અને હાલ જામનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જેમણે કાયમી વસવાટ માટે મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન આરોપી કુંવરબેન હેમતભાઈ આહીર અને હેમતપાલાભાઈ આહીરએ દ્વારકેશ સોસાયટી-5 વિસ્તારમાં આવેલું પોતાનું મકાન ટાઈટલ ક્લિયર હોવાનું જણાવી રૂૂા. 15.60 લાખમાં વેચાણનો સોદો કર્યો હતો. ફરીયાદીએ વિશ્વાસ રાખીને રૂૂા. 7 લાખ ચુકવી વેચાણ કરાર કર્યો હતો, તેમજ મકાનનો કબ્જો મેળવ્યા બાદ તેમાં રંગરોગાન, ફર્નિચર સહિતના કામોમાં આશરે રૂૂા. 4 લાખનો ખર્ચ કર્યો હતો.
પરંતુ બાદમાં હિન્દુજા હાઉસિંગ ફાઈનાન્સ કંપની દ્વારા મકાન ઉપર લોન બાકી હોવા અંગે નોટિસ ચોંટાડવામાં આવતાં સમગ્ર છેતરપીંડીનો ભાંડાફોડ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે મકાન ઉપર આશરે રૂૂા. 17.10 લાખની લોન બાકી હતી.
આ અંગે ફરીયાદીએ આરોપીઓને પૂછતાં તેઓએ લોન ચૂકવી મકાન ટાઈટલ ક્લિયર કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ બાદમાં ફાઈનાન્સ કંપનીએ સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી 3.8.2025ના રોજ કોર્ટ દ્વારા નિયુક્ત કમિશ્નર મારફતે મકાનનો કબ્જો લઈ લીધો હતો.
આથી આરોપીઓએ લોનની હકીકત છુપાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાનો ઈરાદો રાખી મકાન વેચાણ કરી કુલ રૂૂા. 8.15 લાખ મેળવી લીધા હતા તથા ફરીયાદીને થયેલા રૂૂા. 4 લાખના ખર્ચ સાથે મળીને રૂૂા. 12.15 લાખ પરત ચૂકવવાનો કરાર કર્યો હોવા છતાં રકમ પરત ન આપતાં મામલો ગંભીર બન્યો હતો.
ફરીયાદીએ શરૂૂઆતમાં પોલીસમાં લેખિત ફરિયાદ આપ્યા છતાં ગુનો નોંધાયો ન હોવાથી અંતે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે જામનગરના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યુ.એસ. આહીર ની અદાલતે પ્રાથમિક તપાસ બાદ આરોપી દંપતી વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં કાર્યવાહી હાથ ધરી તેમને કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt