
કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : ભુજ તાલુકાના લોડાઈ ગામમાં અચાનક સર્જાયેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. સાંજના સમયે ગામમાં લારી પર પાણીપુરીનો સ્વાદ માણવા ગયેલા લોકો માટે આ આનંદ ક્ષણોમાં જ આફતમાં ફેરવાયો હતો. પાણીપુરી ખાધા બાદ થોડા જ સમયગાળામાં મોટી સંખ્યામાં લોકોમાં તબિયત બગડવાના લક્ષણો દેખાવા લાગ્યા, જેના કારણે ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પાણીપુરી ખાધા બાદ લોકોને ઉલટી, ઉબકા, પેટમાં ભારે દુખાવો અને બેછેનાઈ જેવી સમસ્યાઓ થવા લાગી હતી. આ અસર ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. પરિસ્થિતિને જોતા તાત્કાલિક ઇમર્જન્સી સેવાઓને જાણ કરવામાં આવી અને એક પછી એક એમ્બ્યુલન્સ ગામે પહોંચી ગઈ હતી.
અસરગ્રસ્ત લોકોને તરત જ ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમે યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી હતી. ડોક્ટરો દ્વારા સમયસર સારવાર મળતા હાલ તમામ દર્દીઓની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને કોઈ ગંભીર જોખમ ન હોવાનું જણાવાયું છે, જે રાહતજનક સમાચાર છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે લોડાઈ ગામમાં ખાણીપીણીની લારીઓ અને દુકાનોને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી છે. સાથે જ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શંકાસ્પદ પાણીપુરીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેથી ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાય.
ઉનાળાની શરૂઆત સાથે જ આવી ઘટના સામે આવતા ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. આ બનાવ એ વાતનું પણ સ્મરણ કરાવે છે કે રસ્તા પર મળતા ખાદ્ય પદાર્થોનું સેવન કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar