
ભાવનગર, 18 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર માટે વિવિધ રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલીતાણા તાલુકા પંચાયતની ગરાજીયા બેઠક પર એક અનોખો અને લોકહિતકારક પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર ચેતનભાઈ ડાભી દ્વારા પોતાના સ્વખર્ચે ગામમાં સ્ટ્રીટ લાઇટો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે, જે લોકોને ખૂબ ગમી રહી છે.
માહિતી મુજબ, ગરાજીયા ગામમાં અત્યાર સુધી 200 કરતાં વધુ સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવામાં આવી છે. ગામના અંધારિયા વિસ્તારોમાં પ્રકાશ ફેલાતા લોકોને ખાસ કરીને રાત્રિના સમયે અવરજવર સરળ બની છે. મહિલાઓ અને વડીલો માટે આ સુવિધા વધુ સુરક્ષિત અને સહેલાઈભરી બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
ચેતનભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેઓ માત્ર ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ ગામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સ્ટ્રીટ લાઇટોની આ વ્યવસ્થા પણ ગામના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે જો લોકોનો આશીર્વાદ મળશે તો ભવિષ્યમાં પણ આવા અનેક વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે.
ગામના રહેવાસીઓએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને ઉમેદવારના આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું છે. સ્થાનિક સ્તરે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણી પહેલા આવા કામો થવાથી લોકોમાં વિશ્વાસ વધે છે.
આ પ્રકારના નવતર પ્રયોગો ચૂંટણી પ્રચારમાં એક નવી દિશા દર્શાવે છે, જેમાં માત્ર વચનો નહીં પરંતુ કાર્ય દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT