
અમરેલી,21 એપ્રિલ (હિ.સ.)
આજરોજ સાવરકુંડલા તાલુકાના ગિણીયા-બગોયા ગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસંપર્ક અને ચૂંટણી પ્રચાર અભિયાન યોજાયું હતું. ગામના વિવિધ વિસ્તારોમાં જઈ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ઘરેઘર મુલાકાત કરી મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો.
લોકસંપર્ક દરમિયાન ગ્રામજનો સાથે ગામના સર્વાંગી વિકાસ, સશક્ત સ્થાનિક શાસન અને પારદર્શક વહીવટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દ્વારા વિકાસકાર્યોની માહિતી આપી આવનારી ચૂંટણીમાં પક્ષના ઉમેદવારશ્રીઓને ભવ્ય બહુમતિથી વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ગામમાં લોકોનો સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો અને ભાજપ પ્રત્યે વિશ્વાસનો માહોલ સ્પષ્ટ દેખાયો હતો.
આ પ્રસંગે મહેશ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવશે.
ગિણીયા-બગોયા ગામમાં જોવા મળેલો ઉત્સાહ અને જનસમર્થન સૂચવે છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે જીતનો માર્ગ વધુ મજબૂત બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai