
પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કે.બી. ટેનામેન્ટમાં એક બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી રૂ. 1.90 લાખની મત્તા લૂંટી લીધી હતી. આ બનાવ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદી યશ હેમંતકુમાર દવેના જણાવ્યા મુજબ તેમનું મકાન હાઈવે પર રસથાળ હોટલ પાસે આવેલું છે. તેમના પિતાએ રાત્રે મકાન બંધ કરીને જુના ઘરે ગયા હતા, જેનો લાભ લઈને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું.
બીજા દિવસે સવારે યશ દવે અને તેમની બહેન રૂચીબેન મકાન પર પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. અંદર જઈ તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો.
તપાસમાં બહાર આવ્યું કે તસ્કરોએ કબાટમાંથી રૂ. 1,70,000 રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1,90,000ની ચોરી કરી હતી. પોલીસે BNSની કલમ 331(4) અને 305(a) હેઠળ ગુનો નોંધી તપાસ પીએસઆઈ જયપ્રકાશ શુકલાને સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ