
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) : કેન્દ્ર સરકારે ફરી એકવાર જણાવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં ઘરેલું એલપીજી, પેટ્રોલ-ડીઝલ અને કુદરતી ગેસનો પુરવઠો સામાન્ય છે. બંદરોનું સંચાલન સુચારુ છે અને ગ્રામીણ રોજગાર તેમજ આવાસ યોજનાઓને વેગ આપવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં સંકટના કારણે ઘરેલું ગેસના પુરવઠા સામે પડકાર ઊભો થયો છે. તેથી, ઘરેલું એલપીજીના ઉત્પાદનમાં વધારો કરવાની યોજનાઓ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ, સોમવારે રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં નિયમિતપણે યોજાતી આંતર-મંત્રાલય પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઘરેલું એલપીજી પુરવઠામાં કોઈ અછત નથી. વ્યાપારી એલપીજીનો પુરવઠો લગભગ 70 ટકા સુધી સુધરીને દરરોજ 7000 ટન સુધી પહોંચી ગયો છે. ઓટો એલપીજીનું વેચાણ પણ વધીને 350 ટન પ્રતિ દિવસ થયું છે. 3 એપ્રિલથી અત્યાર સુધીમાં 7000 જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1 લાખ નાના સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, 23 માર્ચથી અત્યાર સુધીમાં 1.84 કરોડ સિલિન્ડરનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. કુદરતી ગેસને ઘરેલું ઉપયોગ અને સીએનજી પરિવહન માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીએનજી નેટવર્કને ટેકો આપવા માટે 10 ટકા વધારાનો વ્યાપારી એલપીજી આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 39 હજારથી વધુ ગ્રાહકો એલપીજીથી પીએનજીમાં સ્થળાંતરિત થયા છે. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સામાન્ય છે અને રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. મંત્રાલયે જણાવ્યું કે, 267 એલપીજી વિતરકો પર દંડ લાદવામાં આવ્યો છે અને 67 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે 19 એપ્રિલે સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેમણે સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી, વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા, પ્રાદેશિક પરિસ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક મનદીપ સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઈલ ટેન્કર 'દેશકરીમા' 97,422 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈને 18 એપ્રિલે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યું હતું અને 22 એપ્રિલે મુંબઈ પહોંચવાની ધારણા છે. જહાજ પર 31 ભારતીય નાવિકો સવાર છે. છેલ્લા 48 કલાકમાં બે ભારતીય જહાજો 'સનમાર હેરાલ્ડ' અને 'બલ્ક કેરિયર જગન્નાથ' એ ફાયરિંગની ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ તેઓ સુરક્ષિત સ્થાને પરત ફર્યા હતા. કોઈપણ નાવિકને ઈજા થઈ નથી.
તેમણે કહ્યું કે, મંત્રાલય સતત જહાજ માલિકો અને ક્રૂ મેમ્બરોના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ડીજી શિપિંગ કંટ્રોલ રૂમ સક્રિય થયા પછી 6918 કોલ અને 14,605 ઈમેલ હેન્ડલ કરી ચૂક્યું છે. અત્યાર સુધીમાં 2563 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં આવ્યા છે. દેશભરમાં બંદર કામગીરી સામાન્ય છે અને ક્યાંય ભીડ નથી.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત શુક્લાએ જણાવ્યું હતું કે, મંત્રાલય મનરેગા હેઠળ ગ્રામીણ રોજગારી સતત જાળવી રહ્યું છે અને આગામી ગ્રામીણ યોજના તરફ સરળ સંક્રમણ સુનિશ્ચિત કરી રહ્યું છે. આ માટે 17,744 કરોડ રૂપિયા મજૂરીની ચુકવણી માટે જાહેર કરવામાં આવ્યા છે. નવી યોજના હેઠળ 125 દિવસની રોજગાર ગેરંટી ટૂંક સમયમાં જ સૂચિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ માર્ચ 2029 સુધીમાં 4.59 કરોડ ઘરો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે વાસ્તવિક સમયની દેખરેખ અને સમયસર ડીબીટી ચુકવણી દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / જિતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ