

દાહોદ/અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) દાહોદ જિલ્લાના ગરબડા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત વિકાસ સંકલ્પ સભામાં ભાજપા કાર્યકર્તાઓ અને નાગરિકોને સંબોધન કર્યું હતું.
જગદીશભાઈએ આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અંગ્રેજ હકૂમત સામે ન ઝૂકનાર આદિવાસી સમાજનું બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તેવું છે.
ભગવાન બિરસા મુંડા અને વેગડા ભીલના બલિદાનને ભાજપ સરકારે સાચું સન્માન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના નામે અને ગોવિંદ ગુરુજીના નામે કોલેજ બનાવી આદિવાસી વારસાને જીવંત રાખ્યો છે. ભાજપ સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ, મેડિકલ કોલેજો, ITI, અને એકલવ્ય મોડલ સ્કૂલનું જાળું બિછાવ્યું છે, જેના કારણે આજે આદિવાસી સંતાનો શિક્ષણ સાથે આગળ વધી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે જેને છેવાડાનો જિલ્લો ગણાવ્યો હતો, તેને મોદીએ તેને ગુજરાતનો પ્રથમ જિલ્લો ગણી વિકાસની નેમ સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. દાહોદનું રેલવે વર્કશોપ હવે આધુનિક બન્યું છે.
અહીં 9,000 હોર્સપાવરના લોકોમોટિવ એન્જિનનું નિર્માણ થઈ રહ્યું છે, જે દાહોદને વૈશ્વિક ઓળખ અપાવશે. આગામી સમયમાં રૂ. 20,000 કરોડના રોકાણથી રેલવે એન્જિન નિર્માણમાં મોટી ક્રાંતિ આવશે, જેનાથી સ્થાનિક યુવાનો માટે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે અનેક વર્ષો સુધી આદિવાસી ભાઇ –બહેનોને છેતર્યા, ફકત મજુરી કામ માટે સીમિત રાખી અને ચૂંટણીમાં ફકત મત મળે તે માટે ઉપયોગ કર્યો. કોંગ્રેસ અને અન્ય પક્ષ માત્ર ચુંટણી સમયે આદિવાસી સમાજને યાદ કરે છે જ્યારે ભાજપા સતત આદિવાસી સમાજની વચ્ચે હોય છે.
ભાજપ સરકારે માનગઢને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપ્યું અને વનબંધુ કલ્યાણ યોજના, પાકા આવાસ, અને 11 લાખ આયુષ્માન કાર્ડ જેવી સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. વધુમાં, દાહોદમાં બે નવા તાલુકા અને બે નવી GIDCના નિર્માણથી ઔદ્યોગિક વિકાસ અને ખેતીલાયક જમીનમાં સિંચાઈની સુવિધામાં મોટો વધારો આવશે.
નારીશક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓને લોકસભા-વિધાનસભામાં અધિકાર આપવા બિલ લાવ્યા પણ કોંગ્રેસે તેમાં અવરોધ ઊભો કર્યો. રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધીએ મહિલાઓનું અપમાન કર્યું છે, જેનો બદલો ગુજરાતની બહેનો આગામી 26 તારીખે મતદાન દ્વારા લેશે.
ભાજપાને આપેલા એક મત થી આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, મિશન ઇન્દ્રધનુષ્ યોજના, ખેલો ઇન્ડિયા અભિયાન સહિતની યોજનાઓનો લાભ વિસ્તારમાં મળી રહ્યો છે.
દિકરીઓને ભણાવવા માટેની ચિંતા ગુજરાત સરકાર કરે છે,
રાજ્ય સરકાર 'નમો લક્ષ્મી' યોજના હેઠળ દીકરીઓના ભણતર માટે રૂ. 50,000 તેમજ નમો સરસ્વતી યોજના હેઠળ રૂ. 25,000 ની શિષ્યવૃત્તિ આપી રહી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી ટાણે પંજાના નિશાન વાળા અને અન્ય પક્ષો માત્ર મત લેવા માટે રૂપ બદલીને આવશે. તેઓએ જનતાને ગુજરાત અને દેશના વિકાસને સુનિશ્ચિત કરવા કમળના નિશાન પર મત આપવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લાના પ્રમુખ સ્નેહલ ધરિયા, સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રભારી રાજેન્દ્રકુમાર પટેલ, ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ