
સુરત, 21 એપ્રિલ (હિ.સ.) સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વાત્સલ્ય એવન્યુમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવાને પોતાના માતા-પિતાની સાથે થયેલા ઝઘડામાં માતાનું જીવ લઈ લીધો. રવિવારે રાત્રે ખાવાની નાની બાબતને લઈને શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો.
મેહુલ ઉર્ફે મોન્ટુ નામના આરોપીએ પહેલા પોતાના દિવ્યાંગ પિતા સાથે મારામારી શરૂ કરી હતી અને તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પતિને બચાવવા માટે વચ્ચે પડેલી 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન સાથે પણ આરોપીએ ઝપાઝપી કરી. આ દરમિયાન તેણે જોરથી ધક્કો મારતાં તેઓ જમીન પર પટકાયા અને બેભાન થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી, પરંતુ તબીબોએ તેમને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપીને કસ્ટડીમાં લઈને હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી બેરોજગાર હતો અને ઘરેલુ કલહ કરતો રહેતો હતો. તેની પત્ની પણ પાંચ વર્ષ પહેલાં તેને છોડીને જતી રહી હતી. આર્થિક તંગી અને તણાવભર્યા વાતાવરણ વચ્ચે આ ઘટના બની હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે