


કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) : ઉનાળાની તીવ્ર ગરમી નજીક આવતાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અચાનક ચકાસણીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ભુજ તાલુકામાં આવેલી એક આઈસક્રીમ બનાવટ અને વેચાણ કરતી એકમ પર પણ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભુજમાં રધુવંશી સર્કલ નજીક આવેલી નંદની આઈસક્રીમ (રસિકલાલ) નામની એકમમાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ વિવિધ પ્રકારની આઈસક્રીમની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરતાં “કેસર પીસ્તા” અને “બ્લેક કરંટ” ફ્લેવરના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. હવે આ નમૂનાઓના રિપોર્ટના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું કે, સ્થળ પર ઉપયોગમાં લેવાતા કેટલાક રો મટિરિયલ જેમ કે એસેન્સ, ફ્લેવર અને કલર એક્સપાયરી ડેટ પસાર થયેલા હતા. આ બાબત ગંભીર માનતા અધિકારીઓએ પેઢીના માલિકને તાકીદ કરી અને જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની ચેડાં ન થાય તે માટે આવા તમામ સામાનનો તાત્કાલિક નાશ કરાવવામાં આવ્યો. અંદાજે ૫ કિલો જેટલો આ માલ સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો, જેની કિંમત આશરે ૧૦ હજાર રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે.
ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ઉનાળાની સીઝનમાં ખાસ કરીને દૂધજન્ય અને ઠંડા પદાર્થો વેચતા વેપારીઓએ ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સંપૂર્ણ કાળજી રાખવી જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને આવી ચકાસણીઓ આગામી દિવસોમાં વધુ તેજ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar