

કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગાંધીધામમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા વિસ્તૃત સ્તરે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબની દેખરેખમાં આ કામગીરી કરવામાં આવી હતી.
પ્રો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિક ચૌધરીના નેતૃત્વમાં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ ૫૫ જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા શહેરના મહેશ્વરીનગર, ભારતનગર અને સુંદરપુરી જેવા વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા જાહેર સ્થળો, મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, તેમજ શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી હતી. સાથે સાથે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધીને તેમને ચૂંટણી દરમ્યાન કાયદાનું પાલન કરવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર આવનારી ચૂંટણીઓને શાંતિપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે આવા પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ કરવામાં આવશે. ગાંધીધામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે તે માટે પોલીસ સંપૂર્ણ સતર્ક બનીને કામ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar